સમાચાર સારાંશ: માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં શ્વાન અંગે આપવામાં આવેલા એક નિવેદન બાદ સમગ્ર દેશમાં અબોલ જીવો પ્રત્યે અમાનવીય વલણ વધ્યું છે, જેની સામે ભરૂચના જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ભરૂચ: અબોલ જીવો પર વધતી ક્રૂરતા સામે જીવદયાપ્રેમીઓનો હલ્લાબોલ - "શ્વાનોને રક્ષણ આપો, અત્યાચાર બંધ કરો"
ભરૂચ: તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક નિવેદન બાદ અબોલ જીવો, ખાસ કરીને શેરી શ્વાનો પ્રત્યે વધતી જતી ક્રૂરતા અને અમાનવીય વલણ સામે ભરૂચના જીવદયાપ્રેમીઓએ જંગ છેડ્યો છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈને વિવિધ સંસ્થાઓએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખોટા અર્થઘટન સામે જંગ
માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં શ્વાન અંગે આપવામાં આવેલા એક નિવેદન બાદ સમગ્ર દેશમાં અબોલ જીવો પ્રત્યે અમાનવીય વલણ વધ્યું છે, જેની સામે ભરૂચના જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે લોકજાગૃતિ લાવવા અને વિરોધ પ્રદર્શિત કરવાના હેતુથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જીવદયાપ્રેમીઓએ એકઠા થઈને અબોલ જીવોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, "કોર્ટના નિવેદનનો સહારો લઈને અનેક સોસાયટીઓ અને તત્વો દ્વારા નિર્દોષ શ્વાનોને પકડીને અજ્ઞાત સ્થળે ફેંકી દેવામાં આવે છે, જે અત્યંત ભયાનક અને ગેરકાયદેસર કૃત્ય છે."
નિયમોની અવગણના સામે સવાલ:
કાર્યક્રમ દરમિયાન નિયમોની સમજ આપતા જણાવાયું હતું કે, જો કોઈ શ્વાન એગ્રેસીવ જણાય તો તેને નગરપાલિકાના સેન્ટર પર લઈ જઈ ૧૦-૧૫ દિવસ ઓબ્ઝર્વેશન અને ટ્રીટમેન્ટ બાદ તેની મૂળ જગ્યાએ જ પરત છોડવાનો હોય છે. રેબીસગ્રસ્ત શ્વાન માટે મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. આમ છતાં, હાલમાં કોઈપણ તાર્કિક આધાર વગર શ્વાનો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
શેરી શ્વાન - માનવ મિત્ર દ્વારા
વિરોધ પ્રદર્શનમાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે શેરી શ્વાન એ માનવ રક્ષક અને વફાદાર મિત્ર છે. સમાજે તેમની પ્રત્યે ક્રૂરતા રાખવાને બદલે સંવેદના રાખવી જોઈએ. ઈશ્વરના દરેક સર્જનનો પૃથ્વી પર જીવવાનો સમાન હક છે.
સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો ક્યાંય પણ બીમાર, અકસ્માતગ્રસ્ત કે ક્રૂરતાનો શિકાર બનેલા અબોલ જીવ દેખાય તો તુરંત જ અમારો સંપર્ક કરવો, જેથી સમયસર તેમની સારવાર અને રક્ષણ કરી શકાય.
રિપોર્ટર ભરૂચ
ભરત મિસ્ત્રી
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



