સમાચાર સારાંશ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ખોડલધામ મુલાકાત હોવાથી તેનું વિશેષ મહત્વ હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું; કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે ખાસ પ્રાર્થના કરી
ખોડલધામ ટ્રસ્ટની 'વૈદિક લગ્ન' પહેલને બિરદાવી, રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિનું સંગમ ગણાવ્યું

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ખોડલધામ મુલાકાત હોવાથી તેનું વિશેષ મહત્વ હતું. ખોડલધામ પરિસરમાં આગમન થતાં જ શ્રી હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે શિસ્તબદ્ધ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
માં ખોડલના દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ,
સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી.
આ મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓ માં ખોડલના ચરણોમાં રાજ્યના ખેડૂત ભાઈ-બહેનો માટે ખાસ પ્રાર્થના કરવા આવ્યા છે. તેમણે જણાવ્યું કે, "તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે ભારે નુકસાન થયું છે, તેવામાં માં ખોડલ સૌને હિંમત આપે અને રાજ્યના સૌ નાગરિકોનું ભલું કરે તેવી મેં પ્રાર્થના કરી છે."
સંઘવીએ ખોડલધામને 'રાષ્ટ્ર શક્તિ' અને 'ધર્મ શક્તિ'નું અનોખું સંગમ ગણાવ્યું હતું. તેમણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી 'વૈદિક લગ્ન'ની સામાજિક પહેલની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, "આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નમાં થતા દેખા-દેખીના બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી રહી છે, જે એક ઉત્તમ અને આવકારદાયક સામાજિક કાર્ય છે.
જોકે, જ્યારે પત્રકારો દ્વારા તેમને અન્ય રાજકીય કે સરકારી મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે સંઘવીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, "આ એક પવિત્ર ધાર્મિક સ્થાન છે અને હું અહીં માત્ર દર્શન અને પ્રાર્થના માટે આવ્યો છું, તેથી અહીંથી કોઈ રાજકીય ટિપ્પણી કરીશ નહીં.
આ મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



