સમાચાર સારાંશ: 'WeTheYuva' અને 'વાર્તાલીપ' દ્વારા "એજ્યુકેટર ચેમ્પિયન કોન્ટેસ્ટ" યોજાયો જેમાં શ્રેષ્ઠ ૫ શિક્ષકોની પસંદગી થઈ. ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ તેમને ટૂલકિટ અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં શિક્ષણના મકસદ અને યુથ લીડરશીપ પર ચર્ચા થઈ અને અંતે સભ્યોએ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંકલ્પ લીધો.
યુવાઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને શિક્ષણ પ્રણાલીમાં યુથ લીડરશીપને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 'WeTheYuva' અને ‘વાર્તાલીપ’ એ સાથે મળીને 'એજ્યુકેટર ચેમ્પિયન કોન્ટેસ્ટ' નું આયોજન કર્યું હતું. જેના ભાગ રૂપે યુવા વિધાર્થીઓ ને તેમાંના શિક્ષકનું શ્રેષ્ઠ શિક્ષક તરીખે નોમિનેશન કરવાનું કહેવામાં આવ્યું હતું.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અનેક પ્રતિભાશાળી શિક્ષકોમાંથી બેસ્ટ ૫ શિક્ષકો માટેની પસંદગી પ્રક્રિયા, અલગ અલગ બેકગ્રાઉન્ડ અને અલગ અલગ વિષયના નિષ્ણાત જ્યુરી પેનલના મૂલ્યાંકન દ્વારા કરવામાં આવી હતી. આ જ્યુરી પેનલમાં મુખ્યત્વે રાકેશ પટેલ (આચાર્ય, નવાનદીસર પ્રાથમિક શાળા અને નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક), ગુલનાર પઠાન (જાણીતા સામાજિક કાર્યકર), ઋષિ પંડ્યા (ઈ-બ્રાન્ડિંગ એડવાઈઝર અને સિસ્ટમ ડેવલપર), ચેતન ચૌહાણ (ફાઉન્ડર અને સીઈઓ, ફર્સ્ટ જનરેશન લીડરશીપ ફાઉન્ડેશન) અને અંકુર ગોલેતર (MBBS મેડિકલ વિદ્યાર્થી અને સામાજિક કાર્યકર) સામેલ હતા.
તારીખ ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયેલા શિક્ષક સન્માન અને રાઉન્ડ ટેબલના કાર્યક્રમમાં પસંદગી પામેલા પાંચ ચેમ્પિયન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને વર્ગખંડમાં તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ માટે એક વિશેષ 'ટૂલકિટ' અને સ્મૃતિ ચિન્હ આપીને જ્યુરી મેમ્બર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પસંદગી પામેલા ચેમ્પિયન શિક્ષકોમાં ડૉ. ભાવેશ એન. પંડ્યા, ખોડાભાઈ બળદેવભાઈ પટેલ 'ધર્મેશ', સવાણી નિકુંજકુમાર ડાયાભાઈ, શાંતિલાલ રણછોડભાઈ માલીવાડ અને બજરંગ લાલનો સમાવેશ થાય છે.
કાર્યક્રમનું સંચાલન તેજલ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તેજલ ડાભીએ તમામ અતિથિઓ, શિક્ષકો, યુવાનો અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન (CSO) ના પાર્ટનર્સનું સ્વાગત કર્યું, સાથે જ WeTheYuva વતી વિજયભાઈ ભારતીય એ સુફી સંત રૂમીના પ્રખ્યાત શેર, "સહી ઔર ગલત કે ઉસ પાર, એક મૈદાન હૈ..." સાથે સૌનું આત્મીય સ્વાગત કરી કાર્યક્રમનો એજન્ડા રજૂ કર્યો હતો. તેમણે ૯ રાજ્યોમાં ૬૦૦ થી વધુ યુવાનો, વાલીઓ અને શિક્ષકો પર આધારિત એક વિસ્તૃત અભ્યાસના મહત્વપૂર્ણ તારણો પણ બધા સાથે વહેંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એક વિશેષ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "આજના ભારતમાં શિક્ષણનો અસલી મકસદ શું હોવો જોઈએ?" અને "યુથ લીડરશીપને મુખ્ય અભ્યાસક્રમનો ભાગ કેવી રીતે બનાવવો?" જેવા ગંભીર વિષયો પર ખુલ્લી ચર્ચા થઈ હતી. તેમજ, શિક્ષકો અને યુવાનોના ગ્રૂપ્સ બનાવીને શિક્ષણ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચામાં હાજર સભ્યોએ શાળા-કોલેજના વાતાવરણને વધુ લોકશાહી અને ભરોસાપાત્ર બનાવવા માટે અનેક વ્યવહારિક અને ત્વરિત અમલીકરણ કરી શકાય તેવા સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત WeTheYuva ના ઈન્ટરપ્રિનિયર મીત પટેલને પણ તેમનો પરિચય આપીને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ સભ્યોએ શિક્ષણ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પોતાની તરફથી તેઓ શું કરી શકેશે તેના માટે વ્યક્તિગત સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના અંતમાં ઋષિભાઈએ તમામ શિક્ષકો અને જ્યુરી મેમ્બરના ઉત્કૃષ્ટ યોગદાન અને જોડાયેલા યુવાનોની તેમને જે રીતે પોતાના વિચારો રજૂ કર્યા તેના પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
ખૂબ જ ખુશખુશાલ વાતાવરણમાં નાસ્તા અને ગેટ-ટુ-ગેધર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો
શિક્ષકોનો વિગતવાર પરિચય:
સવાણી નિકુંજકુમાર ડાયાભાઈ:
સવાણી નિકુંજકુમાર ડાયાભાઈ (MBA, ATMIYA University) 12 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવતા મદદનીશ શિક્ષક છે, જેઓ હાલમાં ધોરણ ૩ થી ૫ માં સેવાઓ આપી રહ્યા છે. તેઓ કચ્છી ભાષા શીખીને માતૃભાષા દ્વારા શિક્ષણ તેમજ મિત્રતાપૂર્ણ વ્યવહારથી બાળકો સાથે સરળતાથી કનેક્ટ થવા પર ભાર મૂકે છે. તેમણે ₹1 લાખથી વધુના સહયોગથી સરકારી શાળામાં પ્રાઇવેટ સ્માર્ટ ક્લાસ બનાવ્યો હતો અને ઓટોમેટિક હાજરી સોફ્ટવેર સહિતની ટેક્નોલોજી વિકસાવી છે. વર્ગખંડમાં રમતગમત, પ્રવૃત્તિઓ, AI ચાર્ટ્સ અને પ્રોજેક્ટ આધારિત ઇનોવેટિવ પદ્ધતિઓથી શિક્ષણ આપીને વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા છે. તેઓ SIC બ્રાન્ડ એમ્બેસેડર અને ICT SRG સભ્ય તરીકે કાર્યરત છે તેમજ Generative AI જેવી આધુનિક તાલીમો મેળવેલી છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને તાલુકા અને જિલ્લા કક્ષાના 'બેસ્ટ ટીચર એવોર્ડ' સહિત અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. "કર્મથી શિક્ષક અને આજીવન વિદ્યાર્થી"ના મંત્ર સાથે તેઓ દરરોજ ટેક્નોલોજી સાથે અપડેટ રહેવાનો શોખ ધરાવે છે.
ભાવેશ એન. પંડ્યા:
ભાવેશ એન. પંડ્યા કોટડા ભાખર પ્રાથમિક શાળામાં ધોરણ-૨ ના ઉપ શિક્ષક તરીકે ૨૬ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે, જેમણે PTC (રાજ્ય પરીક્ષા બોર્ડ) સુધીનો અભ્યાસ કરેલ છે. "આજે વાંચતા શીખવીએ, કાલે એ શીખવા માટે વાંચશે" ના વિચાર સાથે તેઓ પ્રવૃત્તિ, અનુભવ, વાર્તા અને બાળગીતો દ્વારા વર્ગખંડનું જીવંત વાતાવરણ સર્જે છે. ભાષા શિક્ષણ માટે તેમણે અનેક ઇનોવેટીવ પ્રયોગો કર્યા છે, જેના થકી વર્ગખંડ શિક્ષણને વધુ રસપ્રદ બનાવ્યું છે. તેમની ઉત્કૃષ્ટ સફર માટે ૨૦૦૬માં 'નૅશનલ ગ્રાસરૂટ ઇનોવેટિવ ટીચર્સ એવોર્ડ' (IIM & સર રતન ટાટા ટ્રસ્ટ), ૨૦૦૮માં દિલ્હી ખાતે 'ઇનોવેશન એવોર્ડ', ૨૦૧૪માં બ્રિટિશ કાઉન્સિલ (લંડન) દ્વારા માનદ ડોક્ટરેટ તથા ૨૦૧૫માં રાષ્ટ્રપતિ ભવન ખાતે 'સૃષ્ટિ સન્માન' મેળવેલ છે. આ ઉપરાંત લિમ્કા, ઇન્ડિયા, એશિયા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ અંકિત થયેલ છે. તેઓ NIF ના 'Ignite' પ્રોજેક્ટમાં (૨૦૦૮-૨૦૧૪) નેશનલ કો-ઓર્ડિનેટર રહી ચૂક્યા છે અને ગુજરાત તથા ભારત સરકારની વિવિધ કમિટીઓ અને અભ્યાસક્રમ નિર્માણની કાર્યશાળાઓમાં સક્રિય યોગદાન આપ્યું છે. વાંચન, લેખન, ગાયન અને બાળકો સાથે પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતા ભાવેશભાઈ પોતાને એક સર્જક શિક્ષક માને છે, જેઓ પોતાના વર્ગખંડમાંથી ભાવિ સર્જનહારો તૈયાર કરવામાં સમર્પિત છે.
ખોડાભાઈ બળદેવભાઈ પટેલ 'ધર્મેશ':
મૂળ વિડજ (તા. કડી, જી. મહેસાણા) ના વતની અને હાલ નાનીકડી મુકામે સ્થાયી થયેલા ખોડાભાઈ બળદેવભાઈ પટેલ 'ધર્મેશ' B.A., B.Ed., M.S.W. તેમજ પત્રકારત્વ, માસ કમ્યુનિકેશન અને યોગ વિજ્ઞાન જેવી વિવિધ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેઓ વર્ષ ૨૦૦૪ થી નાનીકડી સ્થિત શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા અને શ્રી ડી. એસ. પટેલ શિશુમંદિરમાં આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર તરીકે તેઓ લેખક, કવિ, સાહિત્યકાર, હાસ્ય કલાકાર, નાટક તથા ફિલ્મ અભિનેતા અને ગાયક તરીકે રેડિયો, ટીવી અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે સક્રિય પ્રદાન આપી રહ્યા છે. શિક્ષણ અને કલા ઉપરાંત તેઓ 'માનવ કથાકાર' તરીકે વ્યાસપીઠ પરથી ધર્મ સાથે વૃક્ષારોપણ, રક્તદાન, જીવદયા અને વ્યસનમુક્તિ જેવા અનેક સામાજિક તથા પર્યાવરણીય લોકજાગૃતિના સેવા અભિયાનો ચલાવે છે. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓ માટે તેમને રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' અને 'સારસ્વત એવોર્ડ', પ પૂજ્ય મોરારી બાપુના હસ્તે 'સેવા સન્માન' તથા ગુજરાત સારસ્વત સન્માન સહિત અનેકવિધ એવોર્ડ અને ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા છે.
બજરંગ લાલ:
શ્રી બજરંગ લાલ PM SHRI જવાહર નવોદય વિદ્યાલય, વડનગર (મહેસાણા) ખાતે PGT ભૌતિક વિજ્ઞાન (Physics) શિક્ષક તરીકે સેવા આપે છે. M.Sc. અને B.Ed. ની શૈક્ષણિક લાયકાત ધરાવતા તેઓ હાલ Ph.D. કરી રહ્યા છે અને NEP 2020 મુજબ DIY શૈક્ષણિક સાધનો દ્વારા પ્રાયોગિક તથા રસપ્રદ શિક્ષણ આપવા માટે જાણીતા છે. તેમની નવીનતમ શિક્ષણ પદ્ધતિ બદલ શિક્ષણ મંત્રાલય, NVS અને GUJCOST (National Science Day 2025) દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. તેમના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ SSIP 2.0 અને INSPIRE-MANAK અંતર્ગત ગ્રાન્ટ્સ મેળવી છે તેમજ ATL મેરેથોન, RBVP અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (A+ ગ્રેડ) જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિજ્ઞાન જ્યોતિ કો-ઓર્ડિનેટર અને ATL/ઇનોવેશન મેન્ટર તરીકે તેઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહે છે.
શાંતિલાલ રણછોડભાઈ માલીવાડ:
શાંતિલાલ રણછોડભાઈ માલીવાડ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૨૫ વર્ષનો વિપુલ અનુભવ ધરાવતા એક સમર્પિત શિક્ષક છે, જેઓ હાલમાં પીએમ શ્રી નવા નાડીસર પ્રાથમિક શાળામાં ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે. તેમણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ અને પી.ટી.સી. (PTC) નો કોર્સ પૂર્ણ કર્યો છે. તેઓ માને છે કે શિક્ષણ એ રોજિંદા જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ, તેથી તેઓ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી અને જૂથ-આધારિત પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકે છે. શાળાની ચાર દીવાલોની બહાર નીકળીને ખેડૂતો, સુથાર અને દરજી જેવા સ્થાનિક નિષ્ણાતો તેમજ રોજિંદી વસ્તુઓનો ઉપયોગ કરીને ગણિતના ખ્યાલો સરળતાથી સમજાવવાની તેમની શૈલી અનન્ય છે. તેમના આ નવીન શિક્ષણ અભિગમ માટે તેમને 'રાજ્ય કક્ષાનો ઇનોવેટિવ ટીચર એવોર્ડ' અને 'જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' મળી ચૂક્યા છે. તેઓ શાળા અને સમુદાય વચ્ચે સુદ્રઢ સંબંધો બાંધીને શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



