સમાચાર સારાંશ: હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે.

હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે. નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવી છે.
આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેની ચિંતા કરવામાં આવે.
હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતીઓના સૌથી મનપસંદ એવા નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની મંજૂરી આપીને ખેલૈયાઓને રાજીના રેડ કરી દીધા છે.
જો કે, મેધરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના નવ દિવસને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રિ દરમિયાન જુદી-જુદી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



