સમાચાર સારાંશ: પૂજ્ય સ્વામીજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે ગીતાજીના મહાત્મ્ય પર અત્યંત રસભર્યું પ્રવચન આપ્યું હતું, જેને સાંભળીને કાશીનો વિદ્વાન સમાજ, ઋષિકુમારો અને વિદ્યાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.
કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 'ગીતા પ્રવચન' શ્રેણીનો ભવ્ય પ્રારંભ: પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે 2026-27ના શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન
વારાણસી: મહામના પંડિત મદન મોહન માલવીયજી દ્વારા વર્ષ 1916માં સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ખાતે ભારતીય સંસ્કારો અને શાસ્ત્રીય પરંપરાના જતન અર્થે યોજાતી ઐતિહાસિક 'ગીતા પ્રવચન' શ્રેણીનો નવા શૈક્ષણિક સત્ર 2026-27 માટે ભવ્ય પ્રારંભ થયો છે. વર્ષ 1918માં માલવીયજીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં શાસ્ત્રો પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી પોતાના નિવાસસ્થાનેથી જે પરંપરા શરૂ કરી હતી, તે આજે પણ અવિરતપણે ચાલી આવે છે. આ પ્રસંગે માલવીયજી જે રાધાકૃષ્ણની મૂર્તિનું પૂજન કરતા હતા તે જ પવિત્ર મૂર્તિનું પૂજન કરીને પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રવચનનો પ્રારંભ કર્યો હતો. પૂજ્ય સ્વામીજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે ગીતાજીના મહાત્મ્ય પર અત્યંત રસભર્યું પ્રવચન આપ્યું હતું, જેને સાંભળીને કાશીનો વિદ્વાન સમાજ, ઋષિકુમારો અને વિદ્યાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.

આ ગરિમામય પ્રસંગે મહર્ષિ સાંદિપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન (ઉજ્જૈન)ના ઉપાધ્યક્ષ ડૉ. હૃદયરંજન શર્મા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત BHU સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાયના વેદ વિભાગના પ્રો. ઉપેન્દ્રકુમાર ત્રિપાઠી (સચિવ, ગીતા સમિતિ), કુલસચિવ ડૉ. રંજન શ્રીવાસ્તવ તથા માલવીય ભવનના નિદેશક પ્રો. પતંજલિ મિશ્ર સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગીતા સમિતિના અધ્યક્ષ પ્રો. ઉપેન્દ્ર ત્રિપાઠીજીએ પૂજ્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્ય બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્વામીજીના પ્રવચનથી સૌ કોઈ ધન્યતા અનુભવે છે અને યુનિવર્સિટીને તેમનું સાનિધ્ય વારંવાર પ્રાપ્ત થતું રહે તેવી પ્રાર્થના છે.
મહત્વની વાત એ છે કે આ પ્રવચનો સાંભળવા માટે બનારસનો ખૂબ મોટો વિદ્વત સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



