ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છે કે, ચાર બેઠકો પર જીત હાંસલ કરશે. ભાજપનો દાવો છે કે, ત્રીજી વાર ભાજ૫ 26 માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે.
આવતીકાલે લોકસભાની ચૂંટણી પરિણામ જાહેર થશે. એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. આ તરફ ગુજરાતમાં પણ ભાજપનો દાવો છે કે, ત્રીજી વાર ભાજ૫ 26 માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે. જોકે સુરતની બેઠક તો ભાજપ બિનહરિફ તરીકે જીતી ગયો છે એટલે હવે 25 જ બેઠકના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ તરફ, કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છે કે, ચાર બેઠકો પર જીત હાંસલ કરશે.
ગુજરાતમાં આ વખતે ભાજપ 26 પૈકી 26 બેઠકો જીતે તેમ નથી. જોકે, ગુજરાત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં બેમત નથી. ક્ષત્રિય આંદોલનની કોઇ અસર થવાની નથી.
આ તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝૂમ મીટીંગ કરી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પરિણામને લઈને વાતચીત કરી હતી. દરમિયાન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. ૧૨ બેઠકો પર કોંગ્રેસ કાંટે કી ટક્કર આપશે. આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે. આપ નેતા ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરીકે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ- સુરેન્દ્રનગર બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. આમ, એકિઝટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છેકે, આ વખતે ગુજરાતમાં ખાતુ ખૂલશે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી અંગે જાહેર થયેલા એક્ઝિટ પોલને મોદી મીડિયા પોલ ગણાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે તેવા દાવા કરતા એક્ઝિટ પોલ જુઠા છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે પણ ખરેખર તે મોદી મીડિયા પોલ છે. ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ૨૯૫ બેઠકો મેળવવા જઇ રહ્યું છે.