ભૂલ કરે તેનું માથું વાઢી નખાય...' રૂપાલાની વિચારધારા જ ખરાબ છે : મહારાણી
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે રાજપૂત અને ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે રાજપૂત સમાજ વિશે ટીપ્પણી કરનાર રૂપાલાના વિરોધમાં રાજપીપળા સ્ટેટના મહારાણીએ આક્રોશભેર નિવેદન આપ્યું છે
રાજપીપળા રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણીદેવીએ કહ્યું છે કે રાજપૂતોમાં માફી ના હોય. જે ભૂલ કરે છે, તેનું માથું જ કાપી નાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ રૂપાલાને ટિકિટ આપી છે, તે ખોટું કર્યું છે. રૂપાલાની વિચારધારા જ ખરાબ છે.
અને એ વિચારધારા જ તેમણે બદલવી જોઈએ. રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલીને નવા ઉમેદવાર મૂકવાની તેમણે માગ કરી છે. આમ, હાલ ક્ષત્રિયો દ્વારા રૂપાલા સામે જે વિરોધ થઈ રહ્યો છે તેનું રાજપીપળાના રાજવી પરિવારે પણ સમર્થન કર્યું છે.
પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી વિવાદ વકર્યો છે ત્યારે ભાજપે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, કોઈપણ ભોગે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહી થાય. આ જોતાં ક્ષત્રિયોએ આરપારને લડાઈ લડવા નક્કી કર્યું છે. હવે ક્ષત્રિયોએ ભાજપ સામે ચૂંટણી લડવા તૈયારીઓ આદરી છે. ખુદ કરણીસેનાએ જ રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે જેના પગલે ભાજપની ચિંતામાં વધારો થયો છે.
ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને કરવા તૈયાર નથી. હવે તો ભાવનગરથી માંડીને અન્ય રાજવી પરિવારોએ પણ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છેકે, રૂપાલાની ટિકિટ કોઈપણ ભોગે રદ થવી જોઈએ. અમે માફી આપતા જ નથી. જે સરકાર સાથે મળીને વાટાઘાટો કરે તે અમારી સાથે નથી. ભાજપનો કોઈપણ મોટાગજાનો નેતા કહેશે તો પણ અમે રૂપાલાને માફ નહીં કરીએ. જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ બેઠક પર કરણી સેના ભાજપ સામે ઉમેદવાર ઉભો રાખશે.
એટલુ જ નહીં, જો કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાને નહી ઉતરે તો શેખાવતે ઉમેદવારી નોંધાવવા તૈયારી બતાવી છે. કરણી સેનાએ ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે કે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતની ભાષામાં જવાબ અપાશે. એટલું જ નહીં કમલમનો ઘેરાવ કરવા પર તૈયારીઓ કરવામાં આવી છે.