હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

Posted 1 hour ago with 4 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: તાલુકાવાર સ્થિતિ જોઈએ તો સૌથી વધુ ૭૯ ટકા વરસાદ સરહદી રાપર તાલુકામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ૩૭.૮૫ ટકા વરસાદ અબડાસા પંથકમાં રહ્યો

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો
1/1

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણ અને મોન્સૂન ટ્રફના સંયુક્ત પ્રભાવ હેઠળ કચ્છ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન સાર્વત્રિક અનરાધાર મેઘવૃષ્ટિ નોંધાઈ છે. ૭ જુલાઈએ નૈઋત્યના ચોમાસાના આગમન બાદ જિલ્લામાં માત્ર ૨૯ ટકા વરસાદ પડ્યો હતો, પરંતુ પાછલા બે દિવસમાં લાંબી મેઘતૃષ્ણા બાદ થયેલી મેઘરાજાની પધરામણી થકી ૨૭ ટકાથી વધુ વરસાદ એકસાથે ખાબકતાં કુલ સરેરાશ આંકડો ૫૬.૪૦ ટકાએ પહોંચી ગયો છે. કચ્છની સરેરાશ ૨૦ ઇંચ (૪૯૯.૮૦ મિ.મી.) સામે અત્યાર સુધી ૧૧ ઇંચથી વધુ (૨૮૧ મિ.મી.) વરસાદ વરસી ચૂક્યો છે.

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ

તાલુકાવાર સ્થિતિ જોઈએ તો સૌથી વધુ ૭૯ ટકા વરસાદ સરહદી રાપર તાલુકામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ૩૭.૮૫ ટકા વરસાદ અબડાસા પંથકમાં રહ્યો છે. નખત્રાણા અને લખપત સિવાયના અન્ય તમામ છ તાલુકાઓમાં ૫૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ વરસાદે આંશિક વિરામ લીધો છે, પરંતુ અરબી સમુદ્ર તરફ આગળ વધેલું લો-પ્રેશર આગામી ૨૪ કલાક બાદ પુનઃ કચ્છ તરફ ફંટાવાની શક્યતા હોવાથી સપ્તાહના અંત સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ડેમોમાં નવા નીરની આવક

ધોધમાર વરસાદને પગલે મધ્યમ સિંચાઈના ડેમોમાં ૧૧ ટકા નવાં નીરની આવક થતાં કુલ જળસંગ્રહ ૨૯ ટકાએ પહોંચ્યો છે. રાપરના ફતેહગઢ બાદ બંદરીય મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ પણ છલકાઈ જતાં ઓવરફ્લો થયેલા મધ્યમ ડેમોની સંખ્યા બે થઈ છે. આ ઉપરાંત નાની સિંચાઈના ૧૭૦ ડેમો પૈકી માંડવી પંથકના ગેલડા અને શિરઈ ડેમ પણ પૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે.

૧૫૦ જેટલી માછીમારી બોટોએ સલામતી ખાતર જખૌ બંદરે લાંગરી

દરમ્યાન, અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાની વાતાવરણ અને ઊંચા મોજાંના કારણે વહીવટી તંત્રે જખૌ બંદર ખાતેથી માછીમારોને ટોકન આપવાનું તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. બીજી તરફ દરિયામાં ફસાયેલી પોરબંદર, ઓખા, માંગરોળ, વેરાવળ અને દીવની આશરે ૧૫૦ જેટલી માછીમારી બોટોએ સલામતી ખાતર જખૌ બંદરે લંગર નાખી આશરો લીધો છે. જખૌ માછીમાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, બોટો અને ખલાસીઓ સુરક્ષિત છે.

છ માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત

જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી માર્ગ-મકાન વિભાગ હેઠળના છ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભુજ-મુંદરા માર્ગ પર બેરાજા હનુમાન નજીક રસ્તો ધોવાઈ જતાં વાહનોને પત્રી-ટપ્પર માર્ગ પર ડાયવર્ટ કરાયા છે. આ ઉપરાંત બિબ્બર-વંગ, અંજાર-જરૂ, ગેલડા-રામાણિયા, ધાણેટી-હબાય અને રતનાલ-કંઢેરાઈ માર્ગો અવરોધાતાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા