સમાચાર સારાંશ: ટ્રામ ચલાવવાનો મુદ્દો હવે કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી રાજ્ય સરકાર આગામી સુનાવણીમાં દલીલ રજૂ કરશે
ટ્રામ હવે અતીતની યાદોમાં કોલકત્તામાં 150 વર્ષ જૂની ટ્રામ સેવા થશે બંધ, લોકો થયા ભાવુક
કોલકત્તામાં 150 વર્ષ જૂની ટ્રામ સેવા થશે બંધ ટ્રામની યાદગાર સફરને યાદ કરતાં નાગરિકો થયા ભાવુક

કોલકત્તામાં ભારતની પહેલી અને એકમાત્ર ટ્રામ થશે બંધ
ટ્રામનો મુદ્દો હવે કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ
કોલકાતા ટ્રામ યુઝર એસોસિએશને પણ વિરોધ કર્યો
કોલકાતામાં ઘણાં રૂટ પર ટ્રામ સેવાઓ પહેલાથી જ બંધ
કોલકાતામાં ચાલતી ભારતની પહેલી અને એકમાત્ર ટ્રામ સેવા 150 વર્ષ પછી ટૂંક સમયમાં બંધ થશે. રાજ્યના પરિવહન મંત્રીએ આ માહિતી આપી. પરંતુ આ નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો અને લોકોનું કહેવું છે કે તે શહેરના હેરિટેજનો એક ભાગ છે. વિશ્વભરમાંથી લોકો ટ્રામમાં સવારી કરવા કોલકાતા પહોંચે છે. પરંતુ હવે કોલકાતામાં લોકોને ટ્રામ જોવા નહીં મળે. ટ્રામને કોલકાતાની લાઈફલાઈન માનવામાં આવે છે. ભારતમાં ટ્રામ બ્રિટિશરો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને બાદમાં પટના, ચેન્નાઈ, નાસિક અને મુંબઈ જેવા શહેરો દ્વારા અપનાવવામાં આવી હતી, પરંતુ કોલકાતા સિવાય દરેક જગ્યાએ તેને નાબૂદ કરવામાં આવી હતી.
પરિવહન મંત્રીએ સ્વીકાર્યું કે 1873માં શરુ થયેલી ટ્રામ કોલકાતાના વારસાનો એક ભાગ ચોક્કસપણે છે. તેમજ પરિવહનમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ધીમી ગતિથી ચાલતી ટ્રામ પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક જામ કરે છે અને મુસાફરોને પરિવહનના ઝડપી માધ્યમોની જરૂર છે આથી વર્તમાન સમયમાં તેને ચલાવી શકાય નહીં.'
માત્ર નાગરિકો જ નહીં, કોલકાતા ટ્રામ યુઝર એસોસિએશને પણ આ નિર્ણય સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'વૈશ્વિક સ્તરે 450 થી વધુ શહેરો ટ્રામ ચલાવે છે, અને 70થી વધુ શહેરોમાં ટ્રામ સેવા બંધ કર્યા પછી તેને ફરી શરૂ કરી છે. જેમાં કોલકાતા કરતાં વધુ વસ્તી ગીચતા અને ઓછા રસ્તા ધરાવતાં શહેરોમાં ટ્રામ ફરી શરૂ કરવામાં આવી છે! કોલકાતા તે કેમ ન કરી શકે? ટ્રામની જગ્યા ઓટો અને પાર્કિંગે લીધી છે, આમાં કોના હિત સાધવામાં આવી રહ્યા છે?'
ટ્રામ ચલાવવાનો મુદ્દો હવે કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી રાજ્ય સરકાર આગામી સુનાવણીમાં દલીલ રજૂ કરશે. હાઈકોર્ટે, એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે, ગયા વર્ષે 11 ડિસેમ્બરે સૂચવ્યું હતું કે જાહેર-ખાનગી ભાગીદારી મોડેલનો ઉપયોગ કોલકાતામાં ટ્રામ સેવાઓને પુનઃસ્થાપિત થઈ શકે છે. કોલકાતામાં ટ્રાફિક ઘટાડવા માટે અમુક રૂટ પર ટ્રામ સેવાઓ પહેલાથી જ બંધ થઈ ચૂકી છે. પરિવહન મંત્રીએ કહ્યું કે, જોકે, હેરિટેજ ટ્રામને ચલાવવામાં આવશે જેથી કરીને લોકો સુખદ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો આનંદ લઈ શકે.
ટ્રામ સૌપ્રથમ કોલકાતામાં ઘોડાથી દોરેલી કાર તરીકે શરૂ થઈ હતી, જે 24 ફેબ્રુઆરી 1873ના રોજ પાટા પર મૂકવામાં આવી હતી.
1882માં સ્ટીમ એન્જિનની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ 1900માં રજૂ કરવામાં આવી હતી. કોલકાતા ટ્રામના વીજળીકરણના લગભગ 113 વર્ષ પછી, એસી ટ્રામ 2013 માં રજૂ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે ટ્રામ યાદોમાં સમાઈ જશે કે કોલકાતા શહેરમાં ફરી એક વખત દોડતી જોવા મળશે..
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



