સમાચાર સારાંશ: કચ્છના મહારાવોના તેલચિત્રોથી સજ્જ વિશિષ્ટ ચિત્રવીથિકાનું અનાવરણ, કલાગંગોત્રી ગ્રંથમાળાના “કચ્છનાં રાજવી રત્નો” ગ્રંથનું લોકાર્પણ તેમજ કચ્છના સિદ્ધહસ્ત કલાસાધકો અને શબ્દસાધકોનો અભિવાદન સમારોહ યોજાયો
કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ
પ્રાગમહેલમાં રચાયો કલા અને સંસ્કૃતિનો સંગમ

કચ્છના રાજવી વારસાની ભવ્ય ઉજવણી
ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ
ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાના જતન અને સંવર્ધન માટે સાતત્યપૂર્વક કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટ અને પ્રાગમહેલ ટ્રસ્ટ, ભુજના સંયુક્ત ઉપક્રમે દરબારગઢ સ્થિત પ્રાગમહેલ ખાતે કચ્છના રાજવી ઇતિહાસ, કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય અને ગૌરવપૂર્ણ ત્રિવેણી સંગમ સમો સમારોહ રવિવારે દબદબાભેર યોજાયો. સમારોહમાં કચ્છના મહારાવોના તેલચિત્રોથી સજ્જ વિશિષ્ટ ચિત્રવીથિકાનું અનાવરણ, કલાગંગોત્રી ગ્રંથમાળાના “કચ્છનાં રાજવી રત્નો” ગ્રંથનું લોકાર્પણ તેમજ કચ્છના સિદ્ધહસ્ત કલાસાધકો અને શબ્દસાધકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
કચ્છના રાજવી રત્નોની વંશાવળી, તેમના પ્રજાવત્સલ કાર્યો અને કલા-સંસ્કૃતિના સંવર્ધનમાં તેમના યોગદાનને દસ્તાવેજી સ્વરૂપે રજૂ કરવાનો આ ઉપક્રમ વિશેષ મહત્વનો બન્યો. મહારાણી પ્રીતિદેવી સાહેબાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભવ્ય સમારોહમાં અગ્રણી ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ, દીપેશભાઈ શ્રોફ સહિત કૃતાર્થસિંહજી જાડેજા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કચ્છના ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત કલાકારો અને શબ્દસાધકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિખ્યાત ચિત્રકાર, અભિનેતા કનુ પટેલે ચિત્રવીથિકા અને કચ્છના રાજવી પોર્ટ્રેટ વિષય પર વિશદ વ્યાખ્યાન આપીને કચ્છના મહારાવોના વ્યક્તિત્વ, તેમના ઐતિહાસિક પ્રદાન અને કલાપ્રેમી અભિગમને ઉજાગર કર્યો હતો. જ્યારે કલા વિવેચક, સાહિત્યકાર નિસર્ગ આહિરે “કચ્છનાં રાજવી રત્નો” ગ્રંથ વિશે વિસ્તૃત વાત કરી, ગ્રંથની રચના, તેના વિષયવસ્તુ અને કચ્છના ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપે સાચવી રાખવાના તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
“કચ્છનાં રાજવી રત્નો” ગ્રંથમાં કચ્છના મહારાવોએ કલા અને સંસ્કૃતિના સંવર્ધક-સંવાહક તરીકે ભજવેલી ભૂમિકા તેમજ તેમના પ્રજાવત્સલ કાર્યોને શબ્દસાધકો દ્વારા દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે. આ ગ્રંથના ગુજરાતી સંપાદન સાથે અંગ્રેજી ભાષામાં પણ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે કચ્છના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
કચ્છના વિવિધ વિસ્તારોના અનેક સિદ્ધહસ્ત શબ્દસાધકો અને ચિત્રકારોને તેમના કલા અને સાહિત્ય ક્ષેત્રેના યોગદાન બદલ પુરસ્કાર અને અભિવાદનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છના મહારાવોના વ્યક્તિત્વ અને ઇતિહાસને ચિત્રોના માધ્યમથી જીવંત બનાવનાર કલાકારોના સર્જનને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપેરેખા અને આયોજન કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા અને કૃતાર્થ સિંહજી જાડેજાએ કર્યું હતું. તેમના આયોજન અને સંકલનથી કાર્યક્રમ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
કચ્છની રાજવી પરંપરા, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે એક યાદગાર અને પ્રેરણાદાયી અવસરનું સર્જન કર્યું હતું. કલાતીર્થ ટ્રસ્ટ અને પ્રાગમહેલ ટ્રસ્ટના આ સંયુક્ત પ્રયાસને કચ્છની અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરને ભાવિ પેઢી સુધી પહોંચાડતા મહત્વપૂર્ણ પગલા તરીકે ઉપસ્થિતોએ બિરદાવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



