સોહમ શાહના દિગ્દર્શનમાં બનેલ 'કર્તમ ભૂગતમ' એક મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ છે જેનું નામ જ તેના મૂળ સંદેશને દર્શાવે છે: 'જે કર્મ કરશો, તે ભોગવશો'. આ ફિલ્મની વાર્તામાં એનઆરઆઈ દેવ જોશી (શ્રેયસ તલપડે) ન્યુઝીલેન્ડથી ભોપાલ પાછો ફરે છે અને પોતાના મૃત પિતાની સંપત્તિ વેચીને નાણાં એકત્રિત કરવા માંગે છે, પરંતુ તેનું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેની મુલાકાત એક પ્રખ્યાત જ્યોતિષી અન્ના (વિજય રાઝ) સાથે થાય છે, જેની ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને તે દેવને પોતાની જાળમાં ફસાવી દે છે.
શ્રેયસ તલપડે અને વિજય રાઝનો કુશળ અભિનય ફિલ્મને એક અલગ લેવલ આપે છે. માધૂ શાહે પણ એક ભગવાનમાં વિશ્વાસ રાખનારી દક્ષિણ ભારતીય શિક્ષિકા અને અન્નાની વિનમ્ર પત્નીના પાત્રમાં જીવ પૂરી દીધો છે. ઉપરાંત ફિલ્મની પટકથા તેનો સ્ટ્રોંગ પોઈન્ટ છે, જે દર્શકોને અણધાર્યા વળાંકો અને કથા લાગણી સાથે જોડી રાખે છે તેમજ ફિલ્મનું પાર્શ્વ સંગીત અને ગીતો ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.
એક સરળ પ્રવાહમાં ચાલતી આ ફિલ્મની કથા સરળ છતાં પ્રભાવશાળી છે, અને સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરતાં દેવના જીવનમાં આવતા અણધાર્યા વળાંકો સાથે દર્શકોને સતત બાંધી રાખે છે કારણ કે આ ફિલ્મની ઘટનાઓ સામાન્ય, ઘરેલુ અને રોજબરોજની છે, જેવી કે બેંકો, લેણદારો, મિલકત મામલાત, નાગરીકતાના નિયમો વગેરે, જેનો સામાન્ય માણસ નિયમિત રીતે સામનો કરતો હોય છે. ફિલ્મમાં દેવ અન્નાની આજ્ઞાઓને વગર વિચારે આંખો બંધ કરીને અનુસરે છે અને તેમાં જ તે અન્નાની કેટલીક અજીબ આજ્ઞાઓનું પણ પાલન કરે છે, જે દર્શકોને અસહજ અને ખચકાટ ભર્યું લાગે છે.
આ ફિલ્મ વિશ્વાસ, અંધવિશ્વાસ અને માનવીય લાગણીઓની જટિલતાઓમાં દર્શકોને એક અનોખા પણ મોહક પ્રવાસ પર લઈ જાય છે, ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે લોકો તેમની નબળાઈઓને દૂર કરવા તેમજ સમસ્યાઓનો ઉકેલ માટે ધર્મગુરુઓ, સંતો અથવા જ્યોતિષીઓમાં તેમનો વિશ્વાસ મૂકે છે અને નાની આશા દેખાતા આંખો બંધ કરીને તે વિશ્વાસ તરફ આગળ વધે છે. વધુ મજા તો ફિલ્મ જોવામાં આવશે, શ્રેયસ તલપડે અને વિજય રાઝનો કુશળ અભિનયને માણવામાં આવશે.