સમાચાર સારાંશ: માતા દુર્ગાની આરાધના માટે જાણીતો નવરાત્રી તહેવાર એટલે હિન્દુ ધર્મમાં નવ દિવસ ધામધૂમથી ઉજવાતો પર્વ જેમાં માં શક્તિ અને ગરબાની પૂજા કરવામાં આવે છે અને નવરાત્રીનો તહેવાર બુરાઈ પર સારા વિજય નું પ્રતિક છે અને માતા દુર્ગાની શક્તિ અને શક્તિની પૂજા માટે સમર્પિત છે, પરંતુ સાથે સાથે ભગવાન રામના રાવણ પર વિજયના પ્રતિક તરીકે પણ ઉજવવામાં આવે છે. જે પોતાનું અનેરું સામાજીક અને આર્થીક મહત્વ પણ ધરાવે છે.
માતા દુર્ગાની આરાધના માટે જાણીતો નવરાત્રી તહેવાર એટલે હિન્દુ ધર્મમાં નવ દિવસ ધામધૂમથી ઉજવાતો પર્વ, જેને નવરાત્ર પણ કહેવામાં આવે છે જેમાં માં શક્તિ અને ગરબાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી કે નવરાત્ર શબ્દ નવ અને રાત્ર એમ બે શબ્દ દ્વારા બનેલો છે, નવ અને રાત્ર એટલે રાત. આ નવરાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે.
એક હિન્દુ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે:
1. ચૈત્રી (વસંત) નવરાત્રી
2. ગુપ્ત (અષાઢ) નવરાત્રી
3. શરદ (આસો) નવરાત્રી
4. પુષ્પ (પોષ્) નવરાત્રી
અત્યારે આપણે શરદ (આસો) નવરાત્રીની વાત કરીએ: આ નવરાત્રિના નવ દિવસ માતાજી ના વિવિધ સ્વરૂપોનું શક્તિ રૂપનું પૂજન અર્ચન થાય છે. આ દિવસો દરમ્યાન ગરબાનું પણ અનોખું મહત્વ હોય છે. નવ દિવસ સુધી માતાજીના ગરબાનું સ્થાપન કરી તેમાં અખંડ દીવો કરવામાં આવે છે. ગરબો શબ્દ સંસ્કૃત શબ્દ "દીપ ગર્ભ ઘટ:" માંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે ઘડો/ધાડું. છિદ્રવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. ગુજરાત માટે તો નવરાત્રીનું અલગ મહત્વ છે જેમાં "ગરબા"નું મહત્વ છે. આ ગરબા, જેમાં દીવો કરવામાં આવે છે તે નહી પણ ગુજરાતનું પરંપરાગત નૃત્ય છે, જે નવરાત્રી દરમિયાન વિશેષ લોકપ્રિય છે અને તેને માતા દુર્ગાની આરાધના માટે કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન, લોકો માતાની મૂર્તિ અથવા દીવા આસપાસ ગરબા રમે છે, જે માતા દુર્ગાની આરાધના માટે છે. કહેવાય છે કે ગરબા શબ્દ સંસ્કૃતના "ગર્ભ" શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ છે ગર્ભ અથવા જીવન અને સર્જનશીલતાનું પ્રતિક છે, જે જીવનના ચક્રને દર્શાવે છે, જેમાં જન્મ, જીવન, મૃત્યુ અને પુનર્જન્મનો સમાવેશ થાય છે.
ગરબા નું સામાજિક અને આર્થિક મહત્વ પણ ઘણું છે. ગરબા નૃત્યમાં દરેક વયના લોકો ભાગ લઈ શકે છે, જે એકતા અને સમાનતાની ભાવના જગાવે છે. તેમજ ગરબા ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વનો ભાગ છે, જે લોકોમાં સાંસ્કૃતિક ગૌરવ અને પરંપરાની જાગૃતિ લાવે છે. નવરાત્રી દરમિયાન ગરબા માટે ખાસ કપડાં, આભૂષણ અને સંગીત સાધનોની માંગ વધે છે, જે સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપે છે. તેમજ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં પર્યટકોની સંખ્યા વધે છે, જે રાજ્યના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. આ રીતે, નવરાત્રી માત્ર નૃત્ય જ નહીં, પરંતુ ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ ધરાવતો તહેવાર છે.
આસો મહિનાની આ નવરાત્રીમાં લોકો એકમથી નવમ/નોમ સુધી નવ દિવસનો નોરતા (નવરાત્રીના) વ્રત-ઉપવાસ કરે છે અને આઠમના (આઠમા) દિવસે માતાજીનો હવન કરે છે અને માં શક્તિને નૈવેદ ધરાવવામાં આવે છે. તેમજ કુવારીકાઓ ને શણગારવાનો અને ભોજન કરાવવાનું પણ અનેરું મહત્વ છે. આ કુમારિકાઓના કલ્પિત નામ પણ આપવામાં આવ્યા છે: કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંદ્રિકા, શોભાવી, દુર્ગા અને સુભદ્રા.
આ નવરાત્રિના નવ દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોનું શક્તિના રૂપમાં પૂજન-અર્ચન થાય છે, જેના વિશે આપણે આજથી નવ દિવસ સુધી સાંજેના સમયે એક એક લેખ દ્વારા માહિતી મેળવીશું.
1. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે
2. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે
3. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે
4. ચોથા દિવસે માતા કૂષ્માંડાની પૂજા થાય છે
5. પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે
6. છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે
7. સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે
8. આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે
9. નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે
નવરાત્રી સાથે બે જાણીતી વાર્તાઓ જોડાયેલી છે જે પેઢી દર પેઢી સાંભળતી આવી છે.
મહિસાસુર મર્દિની વાર્તા:
એક વાર, મહિષાસુર નામનો એક દાનવ હતો. તે ખૂબ જ શક્તિશાળી અને અહંકારી હતો. તેણે દેવતાઓને પરાજિત કર્યા અને સ્વર્ગ પર કબજો જમાવ્યો. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસે મદદ માગી. તેઓએ માતા પાર્વતીને વિનંતી કરી કે તેઓ દુર્ગા રૂપ ધારણ કરે અને મહિષાસુરનો નાશ કરે. માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસૂર સાથે યુદ્ધ કર્યું. નવમા દિવસે, માતા દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો અને દેવતાઓને મુક્તિ અપાવી. માતા મહિસાસુર મર્દિની તરીકે ઓળખાઈ. આ વિજયને ઉજવવા માટે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.
નવરાત્રી અને રામાયણની વાર્તા
માં દુર્ગાની આરાધના માટે જાણીતી નવરાત્રીની એક વાર્તાનો રામાયણ સાથે પણ ખાસ સંબંધ છે. રામાયણમાં, ભગવાન રામે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરી હતી.
રામાયણના કથાનુસાર, જ્યારે રાવણે માતા સીતાને હરણ કરી હતી, ત્યારે ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કરવાની તૈયારી કરી. યુદ્ધમાં વિજય મેળવવા માટે, ભગવાન રામે માતા દુર્ગાની આરાધના કરવાનો નિર્ણય લીધો. તેમણે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને તેમની કૃપા મેળવવા માટે કઠોર તપસ્યા કરી.
આ નવ દિવસની પૂજાને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવમા દિવસે, જેને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન રામે રાવણનો નાશ કર્યો અને માતા સીતાને મુક્ત કરી. આ વિજયને ઉજવવા માટે, નવરાત્રી અને વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે.
આ રીતે, નવરાત્રીનો તહેવાર બુરાઈ પર સારા વિજય નું પ્રતિક છે અને માતા દુર્ગાની શક્તિ અને શક્તિની પૂજા માટે સમર્પિત છે, પરંતુ સાથે સાથે ભગવાન રામના રાવણ પર વિજયના પ્રતિક તરીકે પણ ઉજવવામાં આવે છે.
હવે આપણી મુલાકાત થશે માતા શૈલપુત્રીના પરિચય સાથે. સૌને શુભ નવરાત્રી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



