સમાચાર સારાંશ: વર્તમાનમાં ઉત્ખનનની કામગીરી ચાલી રહી છે અને આસપાસ જૂના ઠીકરાઓનાં અવશેષો મોટા પ્રમાણમાં જોઈ શકાય છે.
વિહાર આ નામ પહેલી વાર સાંભળતા જ બૌધ્ધ અથવા જૈન ધર્મ યાદ આવે. કેમ કે આ બંને ધર્મ સાથે આ નામ સંકળાયેલું છે. અતુલ્ય વારસોનાં વડનગરનાં સંશોધન દરમ્યાન મિત્ર દ્વારા વિહાર ગામ વિશે જાણવા મળ્યું અને અહીં તાજેતરમાં ચાલી રહેલ પુરાતત્વીય ઉત્ખનન વિશે પણ જાણવા મળ્યું. જે અનુસંધાને અમારા દ્વારા આ ગામની મુલાકાત લેવાઈ.
ગાંધીનગર જીલ્લાનાં માણસા નજીક આ ગામ આવેલું છે. કુકરવાડા રોડ પર આવેલ હનુમાનજીનાં મંદિર આગળ મુખ્ય માર્ગ પરથી જ ઉત્ખન્નિત થયેલો એક ટીંબો જોઈ શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આ ઉત્ખનન ચાલી રહ્યું હતું પણ હાલમાં બંધ છે.

અહીં આશરે દોઢ ફુટ જેટલી લંબાઈ ધરાવતી ઈંટો થી બનેલી દિવાલો, નાની નાની સાઈજનાં પગથિયા આકારનું માળખું અને ક્યાંક કોઈ વિશેષ પ્રકારનું માળખું જોવા મળે છે. અહીં આસપાસથી માટીના ઠીકરાઓ પણ મોટા પ્રમાણમાં મળી આવે છે. પ્રાથમિક તબક્કે અહીં થોડાક પ્રમાણમાં મંદિરનાં અને જો વધારે ઊંડા જવાય તો કદાચ બૌધ્ધિસ્ટ અવશેષો મળવાની સંભાવના છે.
જેનું સૌથી મોટું કારણ છે કે આ જ પ્રકારની બાંધણી અને રચના નજીકમાં જ અને આજ રૂટમાં આવતા વડનગર અને તારંગાનાં ઉત્ખનનમાંથી મળી આવે છે અને જે બંને સ્થાનોએ બૌધ્ધ અવશેષો પ્રાપ્ત થયા છે. પ્રથમ ટીંબાનાં પાછળનાં ભાગમાં (મંદિર પાછળ) બીજો ટીંબો છે જ્યા વર્તમાનમાં ઉત્ખનનની કામગીરી ચાલી રહી છે અને આસપાસ જૂના ઠીકરાઓનાં અવશેષો મોટા પ્રમાણમાં જોઈ શકાય છે.
સામાન્ય રીતે આ સમગ્ર સાઈટ ઈ.સ. 10મી સદીથી પણ વધારે પ્રાચીન હોવાની શક્યતા છે અને જેમ જેમ નીચેના થરમાં ઉત્ખનન આગળ વધશે તેમ આ સ્થળની કાળગણના ઈ.સ. 2-3 સદી સુધી પણ જાય તેમ શક્યતા છે. સમય જતા જ્યારે ઉત્ખનન આગળ વધશે ત્યારે સંપુર્ણ વિગત બહાર આવશે અને કદાચ આસપાસ કોઈ જુની વસાહત કે નગર મળવાની શક્યતાઓ પણ રહેલી છે.
અત્રે રજૂ કરેલ પ્રાથમિક માહિતી અને તારણ છે. ઉત્ખનનનાં અંતિમ અહેવાલ અને નોંધ માટે વધુ સંશોધનને અવકાશ છે.
માહિતી સૌજન્ય અતુલ્ય વારસો અમદાવાદ કપીલભાઈ ઠાકર
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



