Lok Sabha Elections 2024 : દેશભરમાં લોકસભા ચૂંટણીની ભરપુર દોડધામ જોવા મળી રહી છે. જે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે, તે મતક્ષેત્રમાં પ્રચાર અભિયાન વેગીલુ બની ગયું છે. ત્યારે કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક વાયનાડમાં પણ મોટો ખેલ શરૂ થતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ બેઠક પર I.N.D.I.A ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ પણ મજબૂત ઉમેદવારને ઉતારી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. એટલું જ નહીં ભાજપે પણ દમદાર ઉમેદવાર ઉતારતા વાયનાડની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ શરૂ થઈ ગયો છે.
CPIએ એની રાજાને ઉમેદવાર બનાવ્યા
અગાઉ એવી અટકળો સામે આવી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ CPI વાયનાડ (Wayanad Election) પરથી કોઈ નબળા ઉમેદવારને મેદાનમાં ઉતારશે, પરંતુ સીપીઆઈએ મહાસચિવ ડી.રાજાની પત્ની એની રાજા (Annie Raja)ને ઉમેદવાર બનાવ્યા છે. એની પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતીની સભ્ય પણ છે. આ ઉપરાંત સીપીઆઈએ રાહુલ ગાંધીને ઘણા મોરચે ઘેરી રહી છે, તેથી એવું લાગી રહ્યું છે કે, રાહુલે જીતવા માટે મહામહેનત કરવી પડશે.
કેરળ (Kerala)માં કોંગ્રેસ (Congress)ને હિન્દુ મતદારોનું સૌથી વધુ સમર્થન મળતું રહ્યું છે. ભાજપ (BJP) પણ ત્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર હાવી થવાના તમામ પ્રયાસો કરતી રહી છે, પરંતુ હજુ સુધી સફળ થઈ શકી નથી. પરંતુ આ વખતે સીપીઆઈએ સીએએ અને મુસ્લિમ લીગના ધ્વજનો મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસને એન્ટી મુસ્લિમ તરીકે ચિતરી રહી છે. હવે આ મુદ્દાનો લાભ ભાજપે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધી સામે દમદાર ઉમેદવાર કે.સુરેન્દ્ર (K Surendran)ને મેદાનમાં ઉતાર્યા છે.
સુરેન્દ્રન કેરળમાં ઘણી વખત ચૂંટણી લડ્યા છે. ગત ચૂંટણીમાં તેઓ માત્ર થોડા મતોથી હારી ગયા હતા. જો હિન્દુ વોટોના ભાગલા પડશે અને મુસ્લિમ મતદારો સીપીઆઈ પર પસંદગી ઉતારશે, તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.