ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થા માતૃભાષા અભિયાન વિવિધ પ્રકલ્પો ચલાવે છે. તે અંતર્ગત ગોઠડીનું આયોજન કરવામાં આવે છે.
માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૩માં જાણીતા સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ (સેતુ)એ આશાવલ થી આઝાદી સુધીનું અમદાવાદ વિષય ઉપર વાત કરી, અને પોતાના અનુભવ શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. આશાવલ નામની નગરીમાંથી સુલતાન અહમદશાહે કેવી રીતે અહમદાવાદ નગર વસાવ્યું, કાંકરિયા તળાવ નામ કેવી રીતે પડ્યું, ઝુલતા મિનારાથી લઈને શાહઆલમ અને સરખેજનાં રોજા કોણે બાનાવ્યાં તેનું શું મહત્વ છે? આઝાદીની લડતથી શરૂ કરી મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતની કેવી રીતે સ્થાપના થઈ આ બધી જ બાબતોની વિસ્તૃત માહિતી શ્રોતાઓને ડૉ. માણેક પટેલ દ્વારા જાણવા મળી. શ્રોતાઓએ અમદાવાદનાં ઈતિહાસને લઈને ઘણાં સવાલો વક્તાને પૂછ્યાં હતા, જેના સંતોષકારક જવાબો પણ મેળવ્યાં. આટલી સખત ગરમીમાં પણ હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરેલો હતો. દોઢ કલાકથી વધુ સમય ચાલેલી ગોઠડીમાં વક્તાએ અમદાવાદની ડોક્યુમેન્ટરી પણ બતાવી હતી.
માતૃભાષા અભિયાન વતી ઋષિભાઈએ ગોઠડીમાં વક્તા અને શ્રોતાને આવકાર્યા, માતૃભાષા અભિયાન સાથે હાલમાં જોડાયેલ નવોદિત કાર્યવાહકે ડૉ. અંકુર ગોલેતરે વક્તાનો વ્યક્તિ પરીચય આપ્યો. અંતમાં, માતૃભાષા અભિયાન તરફથી ભાવિનભાઈ શેઠ દ્વારા વક્તા તથા સહયોગી સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો.
ડૉ. માણેક પટેલ (સેતુ)નો પરિચય:
વ્યવસાયે ડેન્ટિસ્ટ એવા ડૉ. માણેક પટેલ (સેતુ) વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિષય માટે જાણીતા સંશોધક-લેખક છે. તેઓએ આજ સુધી અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના વિવિધ વિષયાંતર ઉપર ૧૧ પુસ્તકો લખ્યા છે તેમજ ૩ ડોક્યુમેન્ટરી પણ બનાવેલી છે.
ડૉ. માણેક પટેલ (સેતુ)એ લેખન પ્રવૃત્તિની શરૂઆત દૈનિક પત્રથી કરી હતી, ત્યાર બાદ તેઓએ ગુજરાત સમાચાર'માં ૧૯૯૩માં અમદાવાદ કથા' નામની પપ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત કરી હતી. જે બાદમાં અમદાવાદ-કથા પુસ્તક તરીકે પણ પ્રકાશિત થયું. ઉપરાંત છ વર્ષના અભ્યાસ અને સંશોધનના અંતે ૨૦૦૩માં ડૉ. માણેક પટેલે આ છે અમદાવાદનું સર્જન કર્યું હતું. તેમજ તેજ સમયે તેઓની દિવ્ય ભાસ્કર'માં મિરાતે અમદાવાદ અને કર્ણાવતી ક્રોસવર્ડ નામની લેખશ્રેણી પ્રકાશિત કરી હતી.
ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કર બાદ, ૨૦૧૫-૧૬ દરમિયાન નવગુજરાત સમયમાં 'અમદાવાદીઓનું અમદાવાદ નામની ૬૦ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત થઈ હતી અને ડૉ. માણેક પટેલ, આમંત્રણથી ગુજરાત સરકારના ગુજરાત દીપોત્સવી અંકમાં ઘણા બધા વર્ષોથી લેખો લખે છે. તેમજ અન્ય ઘણા માસિકોમાં તેઓના અમદાવાદ વિશેના અભ્યાસ લેખો વારંવાર પ્રકાશિત થાય છે.