સમાચાર સારાંશ: UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ દરમિયાન માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી હતી જેમાં તેઓએ હાઉઝિયમના પરિચય ઉપરાંત UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ અને મ્યુઝિયમનું મહત્ત્વ, પઝલ અને તાળા મ્યુઝિયમનો પરિચય, દિવસનો ૨૫મો કલાક વગેરે વિષયો ઉપર પણ માહિતી આપી.
ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થા ‘માતૃભાષા અભિયાન’ વિવિધ પ્રકલ્પો ચલાવે છે. તે અંતર્ગત ‘ગોઠડી’નું આયોજન કરવામાં આવે છે.
UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ દરમિયાન માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ "હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ" વિષય ઉપર વાત કરી, સાથે સાથે હાઉઝિયમના અલગ અલગ કલેક્શનનો પરિચય સ્લાઇડ-શોની મદદથી કરાવ્યો અને હાઉઝિયમને જ ઉદાહરણ બનાવીને UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ અને મ્યુઝિયમનું મહત્ત્વ, પઝલ અને તાળા મ્યુઝિયમનો પરિચય, દિવસનો ૨૫મો કલાક વગેરે વિષયો ઉપર પણ માહિતી આપી. ડૉ. હિરેન શાહના વક્તવ્ય બાદ શ્રોતાઓ દ્વારા તેઓને વિષય સંલગ્ન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના તેઓએ સુંદર રીતે જવાબ આપ્યા હતા અને પોતાની સફળતાનો શ્રેય તેઓના પત્ની ડૉ. નમિતાને આપ્યો હતો. શ્રોતાઓ દ્વારા ડૉ.હિરેન અને ડૉ. નમિતાના કાર્ય અને ધગશના વખાણ કરવામાં આવ્યા હતા અને તેમની મહેનત અને કલા-સંસ્કૃતિ માટે આપેલા સમય માટે તેમને "સ્ટેન્ડિંગ ઓવેશન" પણ આપવામાં આવ્યું હતું.

તારીખ ૮ જૂન, ૨૦૨૪ના રોજ નવજીવન ટ્રસ્ટના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં યોજાયેલ ગોઠડીનો આ કાર્યક્રમ લગભગ બે કલાક ચાલ્યો અને તેમાં ૧૦૦થી વધારે દર્શકો જોડાયા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શ્રી મકરંદ મહેતા, ડૉ. માણેક પટેલ(સેતુ) જેવા સંસ્કૃતિ અને ઇતિહાસ વિષયના નિષ્ણાત ચેહરાઓ જોવા મળ્યા હતા અને તેઓએ પણ કાર્યક્રમના ખૂબ વખાણ કર્યા હતા. ગોઠડીમાં પહેલી વાર આવેલા શ્રોતાગણે આવા કાર્યક્રમ વારંવાર યોજવા જોઈએ તેવું કહ્યું હતું.
માતૃભાષા અભિયાન વતી ઋષિભાઈએ ગોઠડીમાં વક્તા અને શ્રોતાઓને આવકાર્યા હતા, માતૃભાષા અભિયાનનો પરિચય આપવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમના અંતમાં તેઓ દ્વારા જ વક્તા તથા સહયોગી સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે GLF (ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ), CGCA (ક્રિએટિવ ગ્રૂપ ઓફ કલ્ચર એક્ટિવિટી) અને The Indian Museums (Instagram પેજ) જોડાયેલી હતી.
ડૉ. હિરેન શાહનો પરિચય:-
૪૦ વર્ષના અનુભવ, ૮ ગોલ્ડ મેડલ અને શૈક્ષણિક એવાર્ડ સાથે મણિનગર, અમદાવાદ ખાતે હોસ્પિટલ ધરાવતા ડૉ. હિરેન શાહનો પરિચય ફકત પીડિયાટ્રીશીયન તરીકે ન આપી શકાય કારણ કે ડૉ. હિરેન શાહે અમદાવાદ ખાતે ૧૦,૦૦૦થી વધુ વસ્તુઓના સંગ્રહ સાથેનું હાઉઝિયમ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું તાળાનું મ્યુઝિયમ, તેમજ ભારતનું પ્રથમ પઝલ મ્યુઝિયમ પણ બનાવ્યું છે. ઉપરાંત ડૉ. હિરેન પઝલની Metagrobologists કોમ્યુનિટીના એક માત્ર ભારતીય સભ્ય હોવાની સાથે એક એવા મુસાફર છે જેઓએ ૫૦ થી વધારે દેશોની મુસાફરી કરી છે અને ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે.
ડૉ. હિરેને શોખીયા ફોટોગ્રાફર તરીકે તેમની દરેક સફરને કેમેરામાં કંડારી છે, તેમજ પોતાના દરેક અનુભવોને ઓનલાઇન બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, અને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં આર્ટિકલ તરીકે લખીને લોકો સુધી પણ પહોંચડયા છે. તેઓએ પોતાના ફોટોગ્રાફીના શોખને ફક્ત પોતાના પૂરતો ન રાખતા અનેક ફોટોગ્રાફી પ્રદર્શન પણ ગોઠવ્યા છે અને ફોટોગ્રાફી માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ તેઓ જીત્યા છે. ડૉ. શાહ ફક્ત આર્ટિકલ લખતા જ નથી પણ તેમના અને તેમના હાઉઝિયમ ઉપર અનેક લેખ લખાયા છે.
ડૉ. શાહ અને તેમના શ્રીમતી ડૉ. નમિતા શાહ તેમની આ બધી જ પ્રવૃત્તિઓ માટે દિવસના ૨૫માં કલાકની રચના કરી છે જેમાં સાથે મળીને તેઓ હાઉઝિયમ સજાવવાનું, દુનિયા જોવાનું તેમજ અન્ય શોખની પ્રવૃત્તિઓ કરે છે. વર્ષ ૨૦૧૨ ઈન્ડિયા ટુડેના ટ્રાવેલ પ્લસ સામયિક પ્રમાણે ભારતના ટોચના ૬૦ ઇન્ટરેસ્ટિંગ લોકોમાં ડૉ. હિરેન શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



