દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ખોટા કેસમાં ધરપકડના વિરોધમાં 'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં ગુજરાત સંગઠનનું એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન.
ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં 7 એપ્રિલ રવિવારના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે: મનોજ સોરઠીયા
આ ઉપવાસ દ્વારા એક સ્પષ્ટ સંદેશો જશે કે ભાજપ ગમે તેટલો ઇડી સીબીઆઈનો દુરુપયોગ કરે, પરંતુ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ક્યારેય પણ ભાજપ સામે ઝુકશે નહી: મનોજ સોરઠીયા
લોકતંત્રને બચાવવાની આ લડાઈમાં આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત લગાવી દેશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર જાહેરાત કરતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે એક ષડયંત્રના ભાગરૂપે નકલી ભ્રષ્ટાચારનો કેસ ઉભો કરવામાં આવ્યો છે. આ ખોટા કેસના કારણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં 7 એપ્રિલ રવિવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આ એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિક ઉપવાસનો સમય સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા સુધીનો રહેશે.
આ પ્રતિક ઉપવાસના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, હોદ્દેદારો તથા તમામ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. આ પ્રતીક ઉપવાસ દ્વારા આમ આદમી પાર્ટી એક સ્પષ્ટ સંદેશો આપશે કે ભાજપ ગમે તેટલા પ્રયાસો કરે અને ઇડી સીબીઆઈનો ગમે તેટલો ઉપયોગ કરે, પરંતુ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ક્યારેય પણ ભાજપ સામે ઝુકશે નહી.
જે રીતે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહજી વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેઓને સુપ્રીમ કોર્ટે જમાનત આપી છે, તે જ પ્રમાણે આવનારા સમયમાં પુરાવાના અભાવે તમામ નેતાઓ નિર્દોષ જાહેર થશે કારણકે આમ આદમી પાર્ટીના કોઈપણ નેતાએ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી. લોકતંત્રને બચાવવાની આ લડાઈમાં આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત લગાવી દેશે.