શિલ્પ - સ્થાપત્યસંપદા ( ભાગ - ૦૧ ) શીર્ષકથી ગુર્જર પ્રદેશ અને હિંદના શિલ્પ સ્થાપત્યસંપદા વિશેના અદ્ભુત ગ્રંથનું કલાતીર્થ - સુરત દ્વારા પ્રકાશન
કલા એ વ્યવહાર ( parformance ) નો વિષય જરૂર છે પરંતુ તેને એક ચોક્કસ વર્ગના વાચકો સમક્ષ તમામ આયામોનું સંકલન કરીને ક્રમાનુસાર લેખિત સ્વરૂપે મૂકવો એક અઘરું કાર્ય બની રહે છે તેમ કહેવામાં ખોટું નહીં જ હોય! કલાને માત્ર પરિચય નહીં પરંતુ પુરાવાઓ સાથે સમજણ અને શિક્ષણ જેવું જો કામ ગ્રંથસ્થ કરી સતત વાચકો સમક્ષ મૂકવાનું ભગીરથ કાર્ય કલાતીર્થ ટ્રસ્ટ - સુરત દ્વારા કરવામાં આવી રહ્યું હોય ત્યારે તેને આનંદ, આવકાર કે આભાર જેવા શબ્દોથી નહીં પણ વંદન અને માત્ર વંદન કરવાથી ઓછું કંઈ કામ લાગે નહીં એવું ચોક્કસ માનું છું.
કલા ક્ષેત્રના એક એક આયામોને સતત ન્યાય આપીને બૃહદ કોશ અર્થાત્ જે તે વિષય કે પેટા વિષયના એનસાયકલોપિડીયા જેવા દસ્તાવેજો તૈયાર કરીને કલા ક્ષેત્રના ઈતિહાસને વર્તમાન સુધી તો જોડે જ છે પરંતુ ભવિષ્યની પેઢીને આજનો વર્તમાન પણ જ્યારે ભૂતકાળ કે ઈતિહાસ લાગશે ત્યારે તેની જીજ્ઞાશા સંતોષવાનું કામ આ દસ્તાવેજી કે પાઠ્યપુસ્તક સમાન અમૂલ્ય ગ્રંથો કરવાના છે ત્યારે વર્તમાનમાં તેનો અવિરત યજ્ઞ અને આહુતિઓ આપનાર શ્રી રમણીકભાઈ ઝાપડિયા સાહેબ, વિવિધ લેખકો અને સંપાદકો તેમજ પ્રકાશન હેતુથી આર્થિક ભંડોળ પૂરું પાડનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ પ્રત્યે ગુજરાત રાજ્યના સર્વે કલા રસિકો અને સામાન્ય નાગરિકો ઋણી રહેશે તે પણ એટલી જ સત્ય અને સમકાલીન હકીકત છે.
કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં સોળ જેટલા અણમોલ ગ્રંથો પ્રકાશિત કર્યા છે અને હવે સત્તર થી એકવીસ સુધીના ક્રમ માટે પાંચ કલા ગ્રંથોની એક નવીન શ્રેણીનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે ત્યારે તે શ્રેણીનો પ્રથમ મણકો એટલે " શિલ્પ - સ્થાપત્ય સંપદા " નું તાજેતરમાં પ્રકાશન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં પ્રકાશિત થનારા ગ્રંથો વિશેની એક મહત્વપૂર્ણ બાબત પણ જાણવા જેવી છે. ગુજરાતમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે છેલ્લા એક સો વર્ષથી અખંડ પ્રકાશિત થઈ રહેલા સામયિક " કુમાર " ની વર્ષ ૨૦૨૪ માં શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ એક સદીના તમામ અંકોમાંથી કલા ક્ષેત્રના લેખોનું એકત્રીકરણ કરીને તેને વિવિધ પાંચ શીર્ષકમાં સંપાદિત કરીને તેનું પ્રકાશન કરવાનો સંકલ્પ શ્રી ઝાપડિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ સંકલ્પ સિદ્ધિનાં ભાગ રૂપે કુમાર સામયિકના એક સદીના વિવિધ અંકોમાં શિલ્પ - સ્થાપત્યના લેખોને પસંદ કરી, ૩૩૧ પાનાઓમાં તેનું સંપાદન કરી આ કલા ગંગોત્રીના સત્તરમા ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવેલ છે. આ શ્રેણીમાં આગળ ચિત્રકલા અને કલા કસબના વિવિધ લેખોમાંથી લેખો સંપાદિત કરી કલા ગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં સ્થાન આપવામાં આવનાર છે. આ પંચામૃત ગ્રંથ શ્રેણી અંદાજિત ૧૫૦૦ પાનાઓ સુધી વિસ્તરી શકે છે!
વર્ષો સુધી સાચવી રાખવા જેવો અને શિલ્પકલા કે સ્થાપત્ય ક્ષેત્રના નવોદિત કલાકારો કે માત્ર જીજ્ઞાશા હેતુથી વાંચન કરવામાં રસ ધરાવતા વાચકો માટે પાઠ્યપુસ્તક સમાન માર્ગદર્શક કે ભોમિયા જેવું જ્ઞાન આપનાર આ શિલ્પ સ્થાપત્ય સંપદા ( ભાગ ૦૧ ) નામનો ૩૩૧ પાનાઓમાં ફેલાયેલો ગ્રંથ કુલ એકતાળીસ પ્રકરણોમાં આલેખાયેલ છે. આ ગ્રંથમાં ટિપ્પણીઓ કે નોંધ સાથેની તસ્વીરો અને રેખાચિત્રોની સંખ્યા અંદાજિત ચારસો જેટલી છે. શ્રી નિસર્ગ આહીર દ્વારા સંપાદિત આ ગ્રંથમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રનું ઊંડું જ્ઞાન કે અભ્યાસ માટેની માહિતીઓ મળી શકે છે.

આ ગ્રંથને ભારતના વડાપ્રધાન મા. શ્રી મોદી સાહેબના આશીર્વચન મળ્યા છે તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છાઓ પણ પ્રાપ્ત થઈ છે. સાહિત્ય જગતના અનેક મહારથીઓ દ્વારા પ્રાપ્ત થયેલા શુભ સંદેશાઓ સાથે જૈનાચાર્ય શીલચંદ્ર વિજય મહારાજ સાહેબનાં પણ આશિષ પ્રાપ્ત થયેલા છે. આવકાર આપતાં શ્રી ઝાપડિયા સાહેબ જ્યારે લખે છે કે " આ તો હજી શરૂઆત છે... " ત્યારે સતત એમ લાગતું હોય છે કે હજી તો કેટલું બાકી પણ છે!
જે ગ્રંથમાં એક એક પ્રકરણ માહિતી કે જ્ઞાન સભર હોય ત્યાં આખી શ્રેણી કેટલી સમૃદ્ધ બનવાની છે તેનો અંદાજ કોઈપણ કલા મર્મજ્ઞ કલ્પી શકે છે! શિલ્પ સ્થાપત્ય સંપદાના આ ભાગ (૦૧) ના પ્રકરણોની માત્ર શીર્ષક યાદી રજૂ કરું છું અને તેથી પણ આ ગ્રંથની આપણી સહુની લાયબ્રેરીમાં કેટલી અનિવાર્યતા છે તેની આપણે કલ્પના કરી શકીશું. આ ગ્રંથમાં કુલ અડતાલિસ પ્રકરણો મતલબ અડતાલિસ લેખોની યાદી આ મુજબ આપી શકાય છે. (૦૧) સિદ્ધપુરનો રુદ્ર મહાલય (૦૨) મહાબલીપુર - દક્ષિણ હિંદની શિલ્પસમૃદ્ધિ (૦૩) ગુજરાતનું સૌથી જૂનું શિલ્પ (૦૪) હિંદના શિલ્પ સ્થાપત્ય - પ્રકરણ ૦૪ થી ૧૩ (૦૫) પ્રાચીન શિલ્પમાં રસદૃષ્ટિ (૦૬) ગુજરાતની શિલ્પસમૃદ્ધિ અને વેશભૂષાનાં શિલ્પો (૦૭) મૂર્તિશાસ્ત્ર પરિચય - ૦૧ અને ૦૨ (૦૮) એલિફંટાના શિલ્પ મંડપ (૦૯) મથુરાની શિલ્પકલા (૧૦) શિલ્પ વિજ્ઞાન - ૦૧ અને ૦૨ (૧૧) અસ્થિ વિજ્ઞાન - ૦૧, ૦૨ અને ૦૩ (૧૨) સ્થાપત્ય અથવા વાસ્તુશિલ્પ (૧૩) સ્થાપત્ય - સ્તંભ અને શિખરની રચના (૧૪) સ્થાપત્ય - મકાનોની આકાશરેખા (૧૫) સ્થાપત્ય કળા - સર્વ કળાઓની જનની (૧૬) હિન્દી કળાના ઈતિહાસમાં ગુજરાતનો ફાળો - ૦૧ અને ૦૨ (૧૭) ગુજરાતનું પ્રાચીન ધાતુ શિલ્પન (૧૮) વિનાયકરાવ કરમરકર (૧૯) ગુજરાતનું મુસ્લિમ સ્થાપત્ય - ૦૧ અને ૦૨ (૨૦) ગુજરાતનું મૂર્તિશિલ્પ (૨૧) કલેશરી (૨૨) ભારતીય કલાનો સુવર્ણયુગ (૨૩) ગુજરાતની ગુપ્તકાલીન શિલ્પ સમૃદ્ધિ - ૦૧ થી ૦૪ (૨૪) ગુપ્તોત્તરકાલીન ગુજરાતની શિલ્પ સમૃદ્ધિ - ૦૧ થી ૦૩ (૨૫) ગુજરાતમાં નાગ પૂજા અને તેના શિલ્પ (૨૬) મહિષાસુરમર્દીની અને અન્ય માતૃમૂર્તિઓ (૨૭) શૈવ સંપ્રદાયની શિલ્પ સમૃદ્ધિ (૨૮) ખંડોસણના પ્રાચીન શિલ્પ.
ઉપરોક્ત તમામ પ્રકરણો વાચકોને ગુર્જર અને હિંદ પ્રદેશના શિલ્પ અને સ્થાપત્ય સંપદા વિશે પ્રાથમિક પણ વિસ્તૃત જાણકારી આપે છે. ભારતના શિલ્પ સ્થાપત્ય વિશેના દસ પ્રકરણો છે તો મૂર્તિ શાસ્ત્ર, અસ્થિ વિજ્ઞાન અને સ્થાપત્ય કળા વિશે પણ ખાસ પ્રકરણો જોવા મળે છે. ગુર્જર પ્રદેશને ધ્યાનમાં રાખીને પણ કેટલાક વિશિષ્ટ પ્રકરણો આલેખવામાં આવ્યા છે. ગુજરાતમાં આદિ કાળથી ચાલી આવતી નાગપૂજા અને તેના શિલ્પો વિશેની માહિતી અદ્વિતિય બની જાય છે તો ગુજરાતમાં મુસ્લિમ સ્થાપત્ય વિશેની વાત પણ બે પ્રકરણોમાં જોવા મળે છે. આ બાબતો આ ગ્રંથનું સામાન્ય મહત્વ સ્પષ્ટ કરે છે એટલું જ નહીં પણ આ ગ્રંથ એક મહત્વના પાઠ્ય પુસ્તક સમાન અથવા સંશોધન લેખન માટે સંદર્ભ ગ્રંથ તરીકેના સાહિત્યનો પણ સ્વીકાર કરે છે. આ ગ્રંથના પ્રકરણો રાજ્યના કલા ક્ષેત્રના વરિષ્ઠ કલાકારો કે લેખકો દ્વારા મૂળ તો 'કુમાર' સામયિકના જે તે સમયના અંકો માટે તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ અહીં ગ્રંથસ્થ થાય છે ત્યારે તેનું મહત્વ કે મૂલ્ય વધી જાય છે.
' કુમાર ' સામયિક વિશે વાત કરતાં આ ગ્રંથના પ્રકાશક શ્રી ઝાપડિયા સાહેબ નોંધે છે કે; ' કુમાર ' ગુજરાતી ભાષાનું જ નહીં, સમગ્ર ગુજરાતી ચેતનાનું આભૂષણ છે. છેક ૧૯૨૪ માં કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા તેનો શુભારંભ થયો હતો. આશય તો આવતીકાલના ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનો હતો, પરંતુ ધીરે ધીરે એ સામયિક એવું તો સમૃદ્ધ બન્યું કે ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઓળખ બની રહ્યું. ખાસ કરીને દૃશ્ય કલા ક્ષેત્રે એનું માતબર પ્રદાન રહ્યું. ગુજરાતમાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, તસવીરકલા, પુરાતત્વ, નૃત્યકલા, નાટ્યકલા, સંગીતકલા માટે એક અભૂતપૂર્વ આબોહવા જન્મી. ગુજરાતના ઉત્તમ સર્જકો, સંશોધકો, લેખકો એમાં જોડાયા. ' કુમાર ' એક પ્રકારનું સ્વયંસિદ્ધ પ્રમાણ બની રહ્યું કે જો કશું ' કુમાર ' માં છપાય, પ્રસિદ્ધ થાય તો તે ઉત્તમ જ હોય. શ્રી રવિશંકર રાવળ પછી શ્રી બચુભાઈ રાવત તંત્રી તરીકે જોડાયા અને ' કુમાર ' ને અભૂતપૂર્વ ભવ્યતા અર્પી, ગરિમાપૂર્ણ ઓળખ અર્પી. ' કુમાર ' સર્વગ્રાહી, સમગ્રલક્ષી સામયિક બની રહ્યું. તેના તંત્રી તરીકે શ્રી ધીરુભાઈ પરીખ અને વર્તમાન તંત્રી શ્રી પ્રફુલ્લ રાવલનું પણ માતબર પ્રદાન રહ્યું છે.
કુમાર ' સામયિક અને આ ગ્રંથ વિશે લખતાં લેખક શ્રી નોંધે છે કે; ' કુમાર ' એટલે સો વર્ષ સુધી ગુજરાતી ભાષામાં વહેતું રહેલું સર્વગામી માનવીય સોંદર્ય! એમાં વ્યતીતના વૈભવી શબ્દ પ્રાગટ્યની સમાંતરે અનાગતને રળિયાત કરવાનો ચોક્કસ આશય રહેલો છે. સો વર્ષ સુધી ગુજરાતી - તાને ભવ્યોજજવલ કરનાર ' કુમાર ' સ્વયં એક આશ્ચર્ય છે. ગુજરાતી લોકચેતનાની રસિકતા, જીજ્ઞાશા, જ્ઞાનપિપાસાને સંકોરવાનું, સંસ્કારવાનું ખૂબ મહત્વનું કાર્ય ' કુમાર ' દ્વારા સાતત્યપૂર્વક થતું રહ્યું છે. એમાં પ્રકાશિત થયેલી સામગ્રી સર્વગામી, બહુઆયામી છે. સમયના કોઈપણ સ્તર પરથી માણવી, મમળાવવી ગમે એવી ચિરકાલીન શબ્દસમૃદ્ધિ છે. ' કલાતીર્થના કર્મનિષ્ઠ કલાપ્રેમી શ્રી રમણીકભાઈને ' કુમાર ' નો ચિરંજીવ કલાવૈભવ સર્વ સુધી પહોંચાડવાનો વિચાર ન આવે એવું તે કેમ બને? સો વર્ષ સુધી ગુજરાતી ચેતનાને રળિયાત કરનાર ' કુમાર ' ની કલા સમૃદ્ધિ સંકલિત સ્વરૂપે લોકોને વહેંચીને ગુજરાતના માતબર સામયિકની શતાબ્દીને ઉજવવી એ વિચારમાંથી આ કલા ગંગોત્રી ગ્રંથે આકાર લીધો છે.
વર્ષ ૨૦૨૪ માં ' કુમાર ' સામયિકને એક સો વર્ષ પૂર્ણ થતાં તેના વિવિધ અંકોના લેખોમાંથી પાંચ ગ્રંથોની શ્રેણી પ્રકાશિત કરવામાં આવનાર છે ત્યારે જૂના અંકોની માહિતી દરેક કલા રસિકો સુધી પહોંચતી કરવાનો આ મહાયજ્ઞ આરંભનાર શ્રી ઝાપડિયા સાહેબને અને લેખકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પણ પાઠવું છું.
ડૉ. રમણિક યાદવ
તા. ૧૬ મે ૨૦૨૪