રાજકોટ ટી.આર.પી. હત્યાકાંડમાં વ્હાલા દવલાની નીતિ બાજુએ રાખી સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે
થોડા વર્ષો પહેલા અમદાવાદ ટાયર પંચરની દુકાન ચલાવતો મુખ્ય આરોપી ધવલ ઠક્કર માત્ર મહોરું તેની પાછળના મુખ્ય માથાઓ કોણ ?-હેમાંગ રાવલ
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ અકસ્માત નહિ હત્યાકાંડ છે. : હેમાંગ રાવલ
ફાયર સેફ્ટીની તપાસ કરાવતી વખતે માત્ર નાના ધંધાદારીઓને હેરાન કરવાનો તખ્તો ઘડવામાં ન આવે તેનું ધ્યાન રાખવું. : હેમાંગ રાવલ
સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક કડકમાં કડક સજા કરી દાખલો બેસાડે અને છેક ઉપરના લેવલ સુધી દોષિતોને સજા કરે. : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારા અકસ્માતને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. ટી.આર.પી હોય કે તક્ષશિલા કોઈ ફરક નહિ પડે કહેવાતા સંવેદનશીલ - મૃદુ મુખ્યમંત્રીને.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ રાજકોટની મુલાકાત લઈને સરકાર પાસે સ્પષ્ટ માગણી કરી હતી કે સંડોવાયેલા તમામ અધિકારીઓ, નેતાઓ અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા વચેટીયાઓને એફઆઇઆરમાં સામેલ કરીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ.
જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે જો સરકાર એમ સ્વીકારતી હોય કે અધિકારીઓ આઈએસ આઈપીએસ ઓફિસર દોષિત હોવાથી તેમની બદલી કરવામાં આવી છે તો શા માટે તેમનું નામ એફઆઈઆરમાં લખીને ગુનો દાખલ કરીને તેમની અટકાયત નથી કરવામાં આવતી.
સુત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર એ માત્ર મોહરું છે. જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રીપેરીંગ અને પંચરની દુકાન હતી અને થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયેલ હતો. આ વ્યક્તિ રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરાવી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારની બાબત છે. રાજકોટમાં સલૂન- સ્પામાં નોકરી કર્યા પછી TRP માં ૧૪ હજારના પગારે નોકરી કરતો હતો પણ મૂળ માલિકે એગ્રીમેન્ટ સાઈન કરાવી લીધેલ અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં હતું.
એક દુકાન અપાવી દેવાની લાલચે સહી કરાવ્યા પછી દુકાન ન અપાવતા નામ બદલવાની અને પોતાને મુક્ત કરવાની વાત કરી તો અસલ માલિકે એમ કહેલું કે એમાં 10- 15 લાખનો ખર્ચો થાય, ત્યારબાદ નામ ન બદલતા તે ધવલના નામ પર જ ચાલું રહ્યું.
તક્ષશિલા કાંડમાં છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે લડી રહેલા લોકોને હજી પણ ન્યાય મળ્યો નથી અને જો આ જ પ્રમાણે તપાસ ચાલશે તો ટીઆરપી કાંડમાં પણ ન્યાય મેળવવામાં મુશ્કેલીઓ પડશે માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપીને દોષિતોને સજા કરી મૃત્યુ પામેલા મૃતકોને અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવો જોઈએ.
રાજકોટ અગ્નિકાંડના પગલે સમગ્ર ગુજરાતમાં ગેમ ઝોન અને મલ્ટિપ્લેક્સમાં દરોડા પાડીને તેમના સંચાલકોને સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે સંચાલકોની સાથે સાથે જમીનોના માલિકો જે મોટાભાગે ભાજપના નેતાઓ છે તેમની સામે પણ ગુનો નોંધીને સરકાર પોતાના મક્કમ હોવાનો પુરાવો આપે.
સાથે જ, નાના વેપારીઓ, નાના ટ્યુશન ક્લાસ અને નાના ધંધાદારીઓને ફાયર સેફ્ટીના નામે હેરાન પરેશાન કરીને અધિકારીઓ તોડ ના કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે બદલી કરાયેલા આઈએએસ, આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે એફઆઇઆરમાં નામ નોંધી આરોપી બનાવવા જોઈએ, મુખ્ય આરોપી ધવલ ઠક્કરની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનમાં કયા અધિકારી કયા નેતાના પૈસા રોકાયેલા છે તેની એસઆઇટી તપાસ કરે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને મૃતકોને ન્યાય આપે.