સમાચાર સારાંશ: મોટી સંખ્યામાં રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકો પણ મદદે દોડી આવ્યા હતા
દ્વારકાથી 8 કિલોમીટર દૂર બરડીયા નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો
સાત જેટલા લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
દ્વારકાથી 8 કિલોમીટર દૂર બરડીયા નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી બસ, એક ઈકો કાર, એક સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે દુર્ઘટના બની હતી. જેમાં સાત જેટલા લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતા દ્વારકા પ્રાંત અધિકારી અને દ્વારકા પોલીસ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મોટી સંખ્યામાં રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ, ખંભાળિયા હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, ગાય અને આખલાને બચાવવા જતાં બસના ડ્રાઇવરે ટર્ન મારતા બસ ડિવાઇડરને ટપી સામેથી આવતી ઇકો કાર અને સ્વિફ્ટ કાર તેમજ બાઇક સાથે અથડાઈ હતી. જેને લઈને ઇકો અને સ્વિફ્ટમાં બેસેલા 2 વ્યક્તિ અને બસમાં બેઠેલા 5 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં. જ્યારે 16 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર, 16 વ્યક્તિઓ પૈકી પણ કેટલાકની સ્થિતિ નાજુક ગણાવાઈ રહી છે. તમામ પ્રવાસીઓ દ્વારકાથી જામનગર, રાજકોટ અને અમદાવાદ તરફ જતા હતા.
નેશનલ હાઈવે હોવા છતાં પણ રખડતાં પશુ બેસતા હોવાના કારણે અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે, તેમ છતા નેશનલ હાઈવે ઓથોરિટીના તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. તેમની બેદરકારની કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. એક સાથે સાતના મોતથી દ્વારકા પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
દ્વારકા-જામનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને સ્ટેન્ડબાય રહેવાના આદેશ અપાયા હતા. રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ SP હાર્દિક પ્રજાપતિ અને DySP સાગર રાઠોડ તેમની ટીમે રેસ્ક્યુ અને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



