તુષાર હિરાનંદાનીએ નિર્દેશન કરેલી અને આજે જ રિલીઝ થયેલી શ્રીકાંત ફિલ્મ એ એક અદ્ભુત બાયોપિક છે જે દૃષ્ટિહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલ્લાની જીવનગાથા સુંદર રીતે રજૂ કરે છે. રાજકુમાર રાવ, જ્યોતિકા, અલાયા એફ અને શરદ કેલકરની મુખ્ય ભૂમિકા સાથે આ ફિલ્મ શ્રીકાંત બોલ્લા શૈક્ષણિક અને ઉદ્યમી પડકારોને કેવી રીતે પાર પાડે છે તેનું વર્ણન કરે છે.
ફિલ્મની કથા સરળ અને સ્પષ્ટ છે, જે દર્શકોને સહજતાથી જોડી રાખે છે. તુષાર હિરાનંદાની નું દિગ્દર્શન પ્રભાવશાળી છે અને તેઓએ દૃષ્ટિહિન વ્યક્તિની તાકાત અને ચુનૌતીઓને સંવેદનશીલતાથી દર્શાવી છે. રાજકુમાર રાવનો અભિનય પ્રભાવશાળી છે અને તેઓ અભિનય દ્વારા શ્રીકાંતના આંતરિક સંઘર્ષોને ખૂબ જ સરસ રીતે સજીવ કરે છે અને પાત્ર જ્યારે અસુરક્ષિત પરીસ્થીતીમાં ફસાય છે કે અસુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે રાજકુમાર રાવનો અભિનય વધુ પ્રભાવશાળી બની જાય છે.
સાથે સાથે ફિલ્મ ભારતીય શિક્ષણ પ્રણાલી અને વ્યાવસાયિક તકોની ચુનૌતીઓને પણ ઉજાગર કરે છે, જે દૃષ્ટિહીન લોકોને અનેક કામો માટે યોગ્ય માનતી નથી. ઉપરાંત કેટલાક અંશે આ ફિલ્મ ભારત અને વિદેશી શિક્ષણ પ્રણાલીઓની તુલના પણ કરે છે.
IMDb પર આ ફિલ્મને 4 સ્ટાર મળ્યા છે, જ્યારે Times of India એ તેને 5 માંથી 4.0 ની રેટિંગ આપી છે. Bollywood Hungama એ પણ તેને ૫ માંથી 4.5 ની રેટિંગ સાથે વખાણી છે, અને Firstpost એ તેને ૫ માંથી 3.5 ની રેટિંગ આપી છે. જે બતાવે છે કે ફિલ્મની સંવેદનશીલ વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે અને ફિલ્મ લોકલાગણી અને સફળતા બંને મેળવશે.
શ્રીકાંત એક પ્રેરણાદાયી ફિલ્મ છે જે દર્શકોને દૃષ્ટિહીન લોકોની ગરિમા અને તેઓને સમાન તકો આપવા માટે પ્રેરે છે. આ ફિલ્મને દર્શકો તેના સંવેદનશીલ દૃષ્ટિકોણ માટે ચોક્કસ યાદ રાખશે. જો તમે એક સારી બાયોપિક જોવા માંગતા હોવ, કોઈ સારી, પારિવારિક ફિલ્મ જોવા માંગતા હોવ તો શ્રીકાંત જોવાનું ચૂકશો નહીં અને જો આપ અમદાવાદ, ગુજરાતમાં રહેતા હોવ તો અંધજન મંડળ, વસ્ત્રાપુર જઈને એક વાર વિઝન ઇન ધ ડાર્ક વોક અચૂક કરજો તમે ફિલ્મને ખૂબજ સારી રીતે સમજી શકશો.