બાળકોના વેકેશનને રસપ્રદ બનાવવા આ રવિવારને તારીખ ૨૬ મે, ૨૦૨૪ના રોજ માતૃભાષા અભિયાન દ્વારા “વાર્તા રે વાર્તા” નામનો કાર્યક્રમ કોચરબ આશ્રમ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં ૭ વર્ષથી ઉપરના બાળકો પોતાના વાલી સાથે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહ્યા.
કાર્યક્રમની શરૂઆત કોચરબ આશ્રમના પરિચય સાથે કરવામાં આવી, જેમાં સંચાલક રોનક રાણા દ્વારા આશ્રમની સ્થાપના ક્યારે અને કોણે કરી તેની જાણકારી આપવામાં આવી તેમજ ગાંધીજી અને કસ્તુરબાના ઓરડા અને રસોડું વગેરે બાળકોને બતાવવામાં આવ્યું અને વાર્તા અને પ્રસંગોની મદદથી ગાંધીજી વિષે, તેઓના જીવન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. ઊપરાંત, રાજકોટ ખાતે હાલ થયેલ દુર્ઘટના ના મૃતકો માટે બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભાષા ભાષાવૈજ્ઞાનિક ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને બાળક બનીને પોપટ, મકોડા, દેડકા અને કાગડાની રસમય વાર્તાઓ કહેવામાં આવી અને સમય ક્યાં જતો રહ્યો તે તે કોઈને ખબર પણ ન પડી. બાળકોને આ વાર્તાઓ સાંભળવામાં એટલી મજા આવી કે તેઓ ધરતા જ ન હતા દરેક વાર્તા પછી હજુ એક વાર્તા કહો તેમ કહેતા હતા. બાળકો તો બાળકો પણ સાથે આવેલા વળી મિત્રો પણ વાર્તા સાંભળવામાં ખોવાઈ ગયા હતા. સાચી જ વાત છે વાર્તા ઉંબર નથી જોતી, બાળકોના આ કાર્યક્રમમાં કેટલાક યુવા મિત્રો એ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓએ પણ બાળક બનીને સપૂર્ણ કાર્યક્રમ માણ્યો. બાળકો ઉછેર સાથે જોડાયેલ એક સંસ્થાના સભ્યો બાળકોને કેવી રીતે વાર્તા કહેવાય તે શીખવા આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા.
કાર્યક્રમની શરૂઆત, ભાવિનભાઈ દ્વારા આવકાર અને દેવાંશીબહેન દ્વારા સુંદર ભજનથી કરવામાં આવી અને કાર્યક્રમના અંતે ઋષિભાઈએ આવેલા સૌ કોઈનો માતૃભાષા અભિયાન વતી આભાર માન્યો અને માતૃભાષા અભિયાન વિશે તેઓને માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન બાળકોને ગરમીથી રક્ષણ આપવા માટે સૃષ્ટિ સંસ્થા દ્વારા કેરીનો બાફલો આપવામાં આવ્યો જે ઘણા બાળકો માટે નવો સ્વાદ અનુભવ હતો. છેલ્લે બાળકોને માતૃભાષા અભિયાનના 'બાલઆનંદ' સામયિક અને બિસ્કીટની ભેટ આપવામાં આવ્યા. વાલીઓ-બાળકો તેમજ હાજર દરેક વ્યક્તિ દ્વારા આ કાર્યક્રમ ફરી પણ આયોજિત થાય તેવી રજૂઆત કરવામાં આવી.
માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાને સાચવવા માટે, ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી લઈ જવા માટે કામ કરતી સંસ્થા છે અને બાળકોથી માંડીને વડીલો જોડાઈ શકે તેવા અનેક નિશુલ્ક કાર્યક્રમો તેઓ ચલાવે છે જેમાં પુસ્તક-પરબ, દાદા-દાદીનો ઓટલો, પરસ્પર, ગોઠડી, મારુ ગમતું પુસ્તક વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
મોબાઈલ અને ટેકનોલોજીના આ યુગમાં બાળકોને વાર્તા જેવા રસપ્રદ વિષય સાથે જોડાવા તેમજ વાંચન બાજુ વાળવાનો માતૃભાષા અભિયાન ટીમનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે અને બાળકો માટે આવા કાર્યક્રમો થતાં રહેવા જોઈએ.