99 રૂપિયાની સ્કીમમાં લોકોના જીવ ગયા
ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે ત્યારે આ ઘટના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બની હતી તેને લઈને એક મોટા અહેવાલ આવ્યા છે. માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના લીધે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો છે. અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે. ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

અત્યાર સુધી 10 લોકોની ધરપકડ
પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત અત્યાર સુધી કુલ 10 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે. આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે. આ બંને પોલીસે ધરપકડ કરી છે.
ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગ ખરેખર કઇ રીતે લાગી તે બાબતે હજુ કોઇ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરંતુ પોલીસ કમિશનરે વેલ્ડિંગ અને કલર કામ વખતે સ્પાર્ક થતા આગ લાગ્યાની શક્યતા દર્શાવી છે. આમ છતાં આગ ખરેખર કઇ રીતે લાગી તે એફએસએલના રિપોર્ટ પછી જ બહાર આવશે.
શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે ટીઆરપી ગેમ ઝોનમાં હાલ વેલ્ડિંગનું અને પેઇન્ટિંગનું કામ ચાલુ હતુ. આ સ્થિતિમાં સ્પાર્ક થતાં આગ લાગ્યાની શક્યતા છે. આમ છતાં આગ ખરેખર કઇ રીતે લાગી તે બાબતે રાજકોટ એફએસએલની ટીમ તપાસ કરી રહી છે.