સમાચાર સારાંશ: મહાકુંભમાં ફરીથી ભાગદોડની કોઈ ઘટના ના થાય તે માટે યોગી સરકાર સક્રિય
મહાકુંભ મેળા ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરાયો છે. અનેક રસ્તાઓને વન-વે સંગમમાં પવિત્ર સ્નાન માટે આવવા અને જવાના રસ્તા અલગ વીવીઆઈપી પાસ રદ કરી દેવાયા છે.
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાસની ભાગદોડની ગોઝારી ઘટના પછી યોગી સરકારે ફરી આવી ઘટના ના બને તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેમાં કુંભ સ્થળને નો-વ્હિકલ ઝોન જાહેર કરવા, વીવીઆઈપી પાસ રદ કરવા, સ્નાન માટે આવવા-જવાના રસ્તા અલગ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે. બીજીબાજુ ભાગદોડની ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દરમિયાન ભાગદોડની દુર્ઘટનાના બીજા દિવસે ગુરુવારે મહાકુંભના સેક્ટર ૨૨માં આગ લાગતા ૧૫ તંબુ ખાખ થઈ ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ નથી.
મહાકુંભમાં ફરીથી ભાગદોડની કોઈ ઘટના ના થાય તે માટે યોગી સરકાર સક્રિય થઈ છે. મેળા ક્ષેત્રમાં તંત્ર દ્વારા કેટલાક મોટા ફેરફારો કરાયા છે. મહાકુંભ મેળા ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરાયો છે. હવે આ વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અનેક રસ્તાઓને વન-વે બનાવી દેવાયા છે. સંગમમાં પવિત્ર સ્નાન માટે આવવા અને જવાના રસ્તા અલગ કરી દેવાયા છે. વીવીઆઈપી પાસ રદ કરી દેવાયા છે.
મહાકુંભમાં મૌની અમાસના દિવસે ભાગદોડની દુર્ઘટના બાદ હવે ૩, ૧૨ અને ૨૬ ફેબુ્રઆરીએ બાકીના ત્રણ અમૃત સ્નાન (શાહી સ્નાન)ના દિવસે શ્રદ્ધાળુઓના ધસારાની સંભાવનાના પગલે આ દિવસોએ યોગી સરકારે બધા જ વીઆઈપી પ્રોટોકોલ્સ રદ કર્યા છે. વધુમાં આ દિવસોમાં ક્રાઉડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સરકારે જાહેર કરેલા સરક્યુલર મુજબ એક સપ્તાહ પહેલાં વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટ્સની જાણ કરવી ફરજિયાત કરાઈ છે. સરકારે લોકોને પણ ૩ ફેબુ્રઆરીને વસંત પંચમી, ૧૨ ફેબુ્રઆરીને માઘ પૂર્ણીમા અને ૨૬ ફેબુ્રઆરીને મહાશિવરાત્રીના દિવસે અમૃત સ્નાનમાં ભાગ લેતી વખતે ધીરજ રાખવા અપીલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ ફેરફારો વસંત પંચમી સુધી અમલમાં રહેશે. મહાકુંભમાં વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કુંભ ૨૦૧૯માં મંડલાયુક્ત તરીકે સેવા આપી ચૂકેલા આશીષ ગોયલ અને ભાનુ ગોસ્વામીને તૈનાત કરાયા છે. આ સિવાય ૧૨ ફેબુ્રઆરી સુધી પ્રયાગરાજમાં વિશેષ સચિવ સ્તરના પાંચ અધિકારીઓને પણ મહાકુંભમાં વ્યવસ્થાનું સુકાન સોંપાયું છે. ભાગદોડની ઘટનાના સંદર્ભમાં મહાકુંભ ડીઆઈજી વૈભવ કૃષ્ણે કહ્યું કે, મૌની અમાસના દિવસે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ નહોતી. શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા. એવામાં જંગી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અચાનક દર્શન કરવા ઉમટી પડયા હતા. અખાડા માર્ગમાં ભીડનું દબાણ વધતા અનેક લોકો બેરીકેડ કુદીને બીજી તરફ જતા રહ્યા હતા. આ સમયે ભાગદોડ મચી ગઈ હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



