સમાચાર સારાંશ: પરીક્ષા યોજવાની માગ કરતા થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમે કહ્યું કે, નીટમાં ૦.૦૦૧ ટકા પણ ગેરરીતિની શક્યતા હોય તો તેની કબૂલાત કરો અને તે અંગે યોગ્ય પગલાં લો વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી છે. અમે તેમની મહેનતને ભુલી શકીએ નહીં.
નીટ યુજી ૨૦૨૪ના પરિણામો જાહેર થતા જ તેમાં વ્યાપક સ્તરે ગેરરીતિઓ, પેપર લીક સહિતની ફરિયાદો થવા લાગી હતી. આ મુદ્દે બે સપ્તાહથી વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે તેમજ નીટ વિરુદ્ધ સુપ્રીમમાં અરજીઓનો મારો ચલાવ્યો છે. નીટ રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માગ કરતા થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી.
આ સમયે સુપ્રીમે કહ્યું કે, નીટમાં ૦.૦૦૧ ટકા પણ ગેરરીતિની શક્યતા હોય તો તેની કબૂલાત કરો અને તે અંગે યોગ્ય પગલાં લો.ન્યાયાધીશો વિક્રમનાથ અને એસવીએન ભટ્ટીની વેકેશન બેન્ચે કહ્યું કે, દેશની સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંથી એકની તૈયારી માટે મેડિકલ વિદ્યાર્થીઓની મહેનતને ભૂલાવી શકાય નહીં. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી છે. અમે તેમની મહેનતને ભુલી શકીએ નહીં.
પરીક્ષામાં ૦.૦૦૧ ટકા પણ બેદરકારી થઈ હોય તો તેને સ્વીકાર કરો અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવવા માટે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરીને આ બાબતનો ઉકેલ લાવવો જોઈએ.
વેકેશન બેન્ચે એનટીએને કહ્યું કે, સુપ્રીમ કોર્ટને તેમની પાસેથી યોગ્ય કાર્યવાહીની આશા છે. કલ્પના કરો કે સિસ્ટમ સાથે છેતરપિંડી કરનારી એક વ્યક્તિ ડૉક્ટર બની જાય તો તે સમાજ માટે વધુ હાનિકારક હશે. આ કેસની સુનાવણી પણ ૮મી જુલાઈએ નીટ સંબંધિત પેન્ડિંગ અન્ય અરજીઓની સાથે જ કરાશે. આ સાથે સુપ્રીમે એનટીએ અને કેન્દ્રને નોટિસ પાઠવી કેસ ૮ જુલાઈ પર મુલતવી રાખ્યો છે. વેકેશન પૂરું થયા પછી સુપ્રીમ આ દિવસે નીટ સંબંધિત બધી જ અરજી પર એક સાથે સુનાવણી કરશે. વકીલ દિનેશ જોટવાનીએ સુપ્રીમમાં મંગળવારે થયેલી સુનાવણી અંગે કહ્યું કે, અમે એનવી સરની સંસ્થા તરફથી કોર્ટમાં અમારો પક્ષ રજૂ કર્યો હતો. આ સાથે આ અરજીમાં ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. અમે કોર્ટ સમક્ષ એક સવાલના બે જવાબ હતા તેના જેવા વિવાદાસ્પદ પ્રશ્નના માર્ક્સ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.નીટ-યુજી ૨૦૨૪માં ગડબડના આરોપોની સીબીઆઈ તપાસની વિનંતી કરતી અરજી પર ૮ જુલાઈએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ નીટ-યુજી પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓવાળી અરજીઓ પર કેન્દ્ર સરકાર, એનટીએ અને અન્યોને નોટિસો ફટકારી બે સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. આ સિવાય સુપ્રીમે શુક્રવારે નીટ-યુજી વિવાદ પર વિવિધ હાઈકોર્ટોમાં પેન્ડિંગ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરતી એનટીએની અરજી પર ખાનગી પક્ષોને પણ નોટિસ પાઠવી છે. આ બધા જ કેસમાં ૮ જુલાઈે સુપ્રીમમાં એક સાથે સુનાવણી થશે.
નીટ અંગેના આરોપોને જોતા પરીક્ષાનું આયોજન કરનારી સંસ્થા એનટીએની સાખ બચાવવા અને નીટ સહિત અન્ય પરીક્ષાઓની શુદ્ધતા અંગે ઉપજેલી શંકાઓ દૂર કરવી એ શિક્ષણ માટે મોટો પડકાર બનશે. આ સિવાય નવી શિક્ષણ નીતિ હેઠળ સુધારા ચાલુ રાખવાની કટિબદ્ધતા પણ તેમણે દર્શાવવી પડશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



