સમાચાર સારાંશ: આજે પરિવારોમાં સંવાદ અને સંવેદના બંન્ને દુર્લભ બન્યા છે; પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના 'નિત્ય ગૃહસભા ગોષ્ઠિ' ના સૂત્ર ને અનુસરીને પરિવારો પોતાનું અને અન્યોનું માનસિક જ નહિ આત્મીય સંતુલન પણ જાળવી જ શકે!
આ છે પ્રમુખ સ્વામી મહારાજની ગેરંટી!!!પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 'નિત્ય ગૃહસભા ગોષ્ઠિ' માં હલ, રસ્તો સસ્તો, નિઃશુલ્ક, હાથવગો અને સરળ છે.
આજે એક પ્રખ્યાત સમાચાર પત્રમાં એક સમાચાર જોયા, જેમાં જામનગરના એક માત્ર 9 વર્ષના એક અન'લકી' બાળક 'લકી' એ તેની માતાએ સાયકલ ચલાવવાની ના પાડી અને તેણે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો. આ સમાચાર મારા સહિત આપ સૌના પણ હૃદયને વલોવી જાય તેવા છે. પરંતુ શું આ ઘટના લાલ બત્તી અને સાયરાન પણ નથી વગાડતી? આપણે તો આત્મહત્યાના બનાવોનાં સમાચારો છાસવારે જોતા હોઈએ છીએ.
ક્યાંક પરિવારોનો સામૂહિક આપઘાત તો ક્યારેક આર્થિક પરિસ્થિતિથી અને કયારેક અસાધ્ય બીમારીથી કંટાળીને વૃદ્ધોના આપઘાત. વળી બોર્ડની પરીક્ષાઓમાં નિષ્ફળતા મળતા જીવન જ પૂરું થઈ ગયું હોય અને હવે કોઈ તક બાકી ન રહી હોય તેવી ગેરમાન્યતા બાદ કોણ જાણે કેટલાયે બાળકોના આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસોના બનાવો વિશે આપણે વાંચતા અને જોતા રહીએ છીએ. શું છે આ પ્રકારના બનાવોનાંકારણો અને ખાસ કરીને આ પ્રકારના બનાવોને અટકાવવા માટે આપણે શું કરી શકીએ એ વિશે આજે ચર્ચા કરી જ લઈએ.
અહીંયા મારે બીએપીએસ સંસ્થાનાં સેવાનો વ્યાપ વધારવામાં જેમણે પ્રમુખ ભૂમિકા ભજવી છે તેવા પરમ વંદનીય શ્રી પ્રમુખસ્વામી મહારાજની એક વાત આપની સાથે વહેંચવી છે. વાત જાણે એમ છે કે પુજ્ય પ્રમુખસ્વામી મહારાજને ઘણા લોકો પત્રો લખીને તેમની વ્યથા તથા મુશ્કેલીઓનો હલ કાઢી આપવા વિનંતિ કરતા, અને પૂજ્ય પ્રમુખશ્રી મહારાજ તેમને તેમનો સચોટ હલ પણ આપતા. આવી જ રીતે એક વખત તેઓ પત્રોના જવાબ આપી રહ્યા હતા ત્યારે એક શ્રી ધીરેન્દ્રભાઈ નામના સત્સંગી એ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી કોઈ એક એવો હલ આપો ને કે જેમાં જે પરિવારો આપને પત્ર નથી લખતા અથવા આપના સુધી નથી પહોંચી શકતા તેઓને પણ તેમની સમસ્યાઓનો હલ આપમેળે મળી જાય. ત્યારે દૈવિક શક્તિઓ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશાઓને અનુસરતા પ્રમુખસ્વામી મહારાજે ગ્રહસભાઓ કરતા રહેવાનું એક સુંદર સૂચન વહેતું કર્યું.
અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વૈજ્ઞાનિકોએ એક અધ્યયન બાદ એ તારણ કાઢ્યું કે 'માસ ચેન્ટીંગ' દ્વારા લોકોની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું નિરાકરણ આવે છે. સામાન્ય રીતે યુરોપના દેશોમાં સપોર્ટ ગ્રુપો દ્વારા સમદુઃખીયાઓ એકઠા થઈ તેમની સમસ્યાઓનો હાલ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. જેમાં ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળે છે. યુરોપના દેશોમાં બાળકો અલગ રૂમમાં સુવે તેવી પ્રથા સામાન્ય છે, ત્યારે સામૂહિક પ્રાર્થના માટે એકઠા થવાથી તેમને ધીરજ અને શ્રદ્ધા વડે સમસ્યાઓમાંથી બહાર નીકળવા નો રસ્તો મળે છે એવું તારણ એ યુરોપનાં વૈજ્ઞાનિકોએ કાઢેલ. આપણે ત્યાં તો ભારતીય સંસ્કૃતિમાં બાળકોને અલગ સુવડાવવા નો શિરસ્તો રહ્યો જ નથી નથી, પરંતુ કોણ જાણે કેમ આપણે વિદેશો નું આંધળું અનુકરણ કરીને એ સામાજિક વિધ્વંસ ના રસ્તા ઉપર ઘસમસી રહ્યા છીએ. ત્યારે આત્મીય સંવેદના ને જાગૃત રાખવામાં આવે તો સમસ્યા હલ મળ્યા પહેલા જ ઉકેલાઈ જાય તેવી શક્તિ આ ભક્તિના માર્ગમાં રહેલી છે, જે સંદેશો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એ ખૂબ સુંદર રીતે ગ્રહસભાઓ ના સૂચનના માધ્યમથી આપ્યો.
મિત્રો ક્યાંક તો આપણા સમાજમાં પરિવારોમાં કંઈક એવું ખોટું થઈ રહ્યું છે, જે આ પ્રકારની ઘટનાઓને જન્મ આપે છે. ક્યાંક ઉછેરમાં તો ક્યાંક શિક્ષામાં ભૂલ થઈ જ રહી છે. સામાન્ય રીતે આત્મહત્યાના બનાવોનાં કારણો પ્રથમ દૃષ્ટિએ જણાતા હોય છે, તે ઉપરાંત પણ કેટલોક તણાવ એક યા બીજા સ્વરૂપે એકઠો થયેલ હોય છે. આપણે સમાચારો વાંચીએ ત્યારે આત્મહત્યાનું કારણ આપણને સામાન્ય સ્વરૂપે અને તણાવ વિહીન અવસ્થામાં વિચારીએ ત્યારે સ્વભાવિક રીતે નજીવું અને આત્મહત્યા કરવા માટેનું પર્યાપ્ત જણાતું નથી. પરંતુ આપણે જો આત્મહત્યાના બનાવોના કારણો ના મૂળમાં જઈએ તો એ કારણની આસપાસ ખદબદતા કેટલાક અન્ય કારણો પણ જડી આવશે. એકલતા, આસપાસના લોકોની ટક ટક, બાળકોના કિસ્સામાં તેના શાળાના તથા ઘરની આસપાસના મિત્રો દ્વારા સતત ઠેકડી ઉડાડતી હોય, બાળકોને શિક્ષકો દ્વારા વર્ગ ખંડમાં એકલા પાડી દેવાની પ્રવૃત્તિ થતી હોય કે પછી તેને સાંભળવા વાળુ કોઈ જ ન હોય.
આપણા પરિવારોમાં જે જ્ઞાન અને શાણપણ સમજદારી ના માધ્યમથી આવવુ જોઇએ, તે ડિજીટલ બિરાદરી થી આવી રહ્યું છે એ એક કડવી વાસ્તવિકતા છે! ક્યારેક તો મોટાભાગની સમસ્યાઓ માત્ર ઠાલવી દેવાથી જ હળવી થઈ જતી હોય છે, એ તો આપણો સૌનો અનુભવ હશે જ. આ જે વ્યથાઓ ઠાલવી દેવા માટે નિયમિત રૂપથી મંચની સૌને જરૂર પડે તે મંચ પરિવારથી વધુ સારી રીતે કોણ આપી શકે!
આ પ્રકારનો વિચાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યો અને કોણ જાણે કેટલાય પરિવારોમાં ગ્રહસભાઓની શરૂઆત થઈ. જે પરિવારોમાં ગ્રહસભા અથવા એક ટંકનું ભોજન સાથે લઈ અને ગોષ્ઠિઓ કરવામાં આવે છે, ત્યાં ઉપર જણાવ્યા મુજબ વ્યથા અને કથા ઠાલવવા માટે તક સાંપડી જાય છે. કેટલો સુંદર વિચાર કે જે મોટી મોટી સમસ્યાઓનો હલ આપી જાય. મિત્રો તેને અનુસરવા ચોઘડિયું ન જોતા.
આજે પરિવારોમાં સંવાદ અને સંવેદના બંન્ને દુર્લભ બન્યા છે; પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના 'નિત્ય ગૃહસભા ગોષ્ઠિ' ના સૂત્ર ને અનુસરીને પરિવારો પોતાનું અને અન્યોનું માનસિક જ નહિ આત્મીય સંતુલન પણ જાળવી જ શકે! બાળકો ને વિકલ્પ આપો, તિરસ્કાર અને રદિયો નહિ! કોઇપણ વાતમાં જીદ પણ નહિ કરે અને તરી પણ જશે તેમજ તમારા પર વારી પણ જશે!!!
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલ આ રસ્તો સસ્તો, નિઃશુલ્ક, હાથવગો અને સરળ છે, બસ તેને અનુસરવા માટે આપણે એ ભૂલકાઓને પ્રેરવાની આવશ્યકતા છે! વિશ્વભરના દરેક બીએપીએસ મંદિરોમાં બાળ સભાઓ થતી હોય છે ત્યાં પણ બાળકોને મોકલવાથી સમગ્ર પરિવારને લાભ થવાની પૂરી બાંહેધરી છે. જામનગરના આ અન'લકી' બાળક 'લકી' નાં પરિવાર સુધી ગ્રહસભાનો નુસખો તો પહોંચી ન શક્યો, પરંતુ આપણે એ નુસખાને અપનાવીએ અને પ્રસરાવીએ એ જ આ બાળકને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે, માટે આ જ તો છે "પ્રમુખ સ્વામી મહારાજ ની ગૃહશાંતિ ની ગેરંટી!!!"
લેખક
હિરેન કોટક
મો. (૯૧) ૯૫૩૭૪૦૦૦૦૦
hirenkotak@hirenkotak.com
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



