કેજરીવાલે ગઠબંધન અંગે અજુગતું નિવેદન આપ્યું
અમે કોઈ લગ્ન કર્યા નથી : કેજરીવાલ
ઇન્ડિયા ગઠબંધન સાથે અમે એરેન્જ મેરેજ કે લવ મેરેજ પણ કર્યા નથી : કેજરીવાલ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે એક ઇન્ટરવ્યૂમાં અજુગતું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા છે. કેજરીવાલે સ્પષ્ટ કહ્યું છે કે, દિલ્હીમાં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહી હોવા છતાં કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન સ્થિર નથી. અમે ચાર જૂને ચોંકાવનારા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન જ ચૂંટણી જીતશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેટલાક દિવસ સુધી ચાલશે, તેવા પ્રશ્ન પર કેજરીવાલે કહ્યું કે, ‘અમે કોઈ લગ્ન કર્યા નથી, અમે એરેન્જ મેરેજ પણ કર્યા નથી, અમે લવ મેરેજ પણ કર્યા નથી. અમે લોકો દેશને બચાવવા માટે ચાર જૂન સુધી ચૂંટણી લડવા માટે સાથે છીએ. તેને કોઈ નામ આપવાની જરૂર નથી. અમારુ લક્ષ્ય હાલ ભાજપને હરાવવાનું છે.’
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી-ચંડીગઢમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બંને પક્ષો પંજાબમાં અલગ-અલગ કેમ ચૂંટણી રહ્યા છે? તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, ‘વર્તમાન સમયમાં દેશને બચાવવો જરૂરી છે. જે બેઠકો પર ભાજપને હરાવવા માટે અમારે સાથે આવું પડ્યું છે, ત્યાં અમે સાથે ચૂંટણી રહ્યા છીએ અને ભાજપ વિરુદ્ધ એક ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પંજાબમાં ભાજપનું અસ્તિત્વ જ નથી, તેથી અમે બંને પક્ષોએ પંજાબમાં સામ-સામે ઉમેદવારો ઉતાર્યા છે. અમે ચાર જૂન બાદ નિર્ણય લઈશું કે, અમારે આગામી સમયમાં શું કરવાનું છે. વર્તમાન સમયમાં દેશનું બંધારણ અને જનતંત્રને બચાવવું જરૂરી છે. અમારા આ નિર્ણયને પ્રજા આવકારી રહી છે. અમને કોઈએ પણ આવો પ્રશ્ન કર્યો નથી.’